


પોરબંદર, 11 જુલાઈ (હિ.સ.) : રાજ્યના ખેડૂતોને તેલીબિયાં પાકોની ખેતી કરવા માટેનું પ્રોત્સાહન મળી રહે તેમજ તેલીબિયાં પાકોનો વાવેતર વિસ્તાર, ઉત્પાદન તથા ઉત્પાદકતામાં વધારો થાય તે માટે ભારત સરકાર દ્વારા નેશનલ મિશન ઓન એડીબલ ઓઇલ-ઓઇલસીડ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ ઉપલબ્ધ કરાવી તેલબિયાં પાકના ઉત્પાદનમાં વધારો થાય તેમજ ખેડૂતોને વધુ ઉત્પાદન અને આવક પ્રાપ્ત થાય તે હેતુથી ભારત સરકારની NMEO–Oilseeds (National Mission on Edible Oils – Oilseeds) યોજના અંતર્ગત પોરબંદર જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.
આ યોજના હેઠળ જિલ્લામાં કુલ 2,639 ખેડૂતોને અંદાજિત રૂ.4,27,50,000 (રૂ. ચાર કરોડ સત્તાવીસ લાખ પચાસ હજાર)ના મૂલ્યનું 3,750 ક્વિન્ટલ પ્રમાણિત મગફળીનું બિયારણ વિતરણ કરવામાં આવ્યું છે.પ્રમાણિત બિયારણના ઉપયોગથી મગફળીના પાકમાં વધુ અંકુરણ, સારી ગુણવત્તા, ઊંચી ઉત્પાદન ક્ષમતા તથા ખેડૂતોને વધુ આર્થિક લાભ પ્રાપ્ત થવાની અપેક્ષા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તેલબિયાં પાકના ઉત્પાદનમાં વધારો કરી દેશને ખાદ્ય તેલ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે, જેમાં NMEO–Oilseeds યોજના મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
પોરબંદર જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા ખેડૂતોને યોજનાનો મહત્તમ લાભ મળી રહે તે માટે આયોજનબદ્ધ રીતે બિયારણનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો સરકારી કૃષિ સહાય યોજનાઓનો લાભ લે અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવી ઉત્પાદન વધારવા માટે કૃષિ વિભાગ સતત માર્ગદર્શન અને સહાય પૂરી પાડી રહ્યો છે.
પોરબંદર જિલ્લાના ખેડૂતોને કૃષિ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા અને વધુ માહિતી માટે સંબંધિત તાલુકાની ખેતીવાડી શાખા અથવા જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya