મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 7 હજાર કરતા વધુ તાલીમાર્થીઓને કરાયા તાલીમબદ્ધ
- સંગઠિત-અસંગઠિત શ્રમિકો માટે ગુણવત્તાસભર તાલીમ, સંશોધન અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો દ્વારા રાજ્યના શ્રમ ક્ષેત્રને મળી રહ્યો છે મજબૂત આધાર. અમદાવાદ, 11 જુલાઇ (હિ.સ.) : રાજ્યમાં શ્રમિક તાલીમ અને શ્રમ વિષયક સંશોધન ક્ષેત્રે કાર્યરત મહાત્મા ગાંધી શ્રમ
Mahatma Gandhi Shram Sansthan


- સંગઠિત-અસંગઠિત શ્રમિકો માટે ગુણવત્તાસભર તાલીમ, સંશોધન અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો દ્વારા રાજ્યના શ્રમ ક્ષેત્રને મળી રહ્યો છે મજબૂત આધાર.

અમદાવાદ, 11 જુલાઇ (હિ.સ.) : રાજ્યમાં શ્રમિક તાલીમ અને શ્રમ વિષયક સંશોધન ક્ષેત્રે કાર્યરત મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન-MGLI દ્વારા છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ 123 જેટલા તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગો, જાહેર અને ખાનગી ઉદ્યોગો, શ્રમિક સંગઠનો તેમજ અન્ય સંસ્થાઓના 7211 થી વધુ તાલીમાર્થીઓ સહભાગી થયા હતા.

શ્રમ કાયદાઓથી લઈને ઔદ્યોગિક સંબંધો, કાર્યસ્થળની સલામતી, ઔદ્યોગિક સુરક્ષા, માનવ સંસાધન અને પર્યાવરણ વ્યવસ્થાપન જેવા વિષયો પર યોજાતા આ તાલીમ કાર્યક્રમો રાજ્યમાં શ્રમિકોની ક્ષમતાવૃદ્ધિ અને કૌશલ્ય વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં હરિયાળા અને વિશાળ કેમ્પસમાં સ્થિત મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન 15 સપ્ટેમ્બર,1979 થી રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ સ્વાયત્ત સંસ્થા તરીકે કાર્યરત છે. સંગઠિત તથા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો, કર્મચારીઓ, અધિકારીઓ અને અન્ય હિતધારકોને શ્રમ વિષયક તાલીમ પૂરી પાડવી, શ્રમ સંબંધિત સંશોધન કરવા, અને વ્યવસાયલક્ષી શૈક્ષણિક અભ્યાસક્રમોનું સંચાલન કરવું એ સંસ્થાનના મુખ્ય કાર્યક્ષેત્રો છે.

સંસ્થાન દ્વારા દર વર્ષે 40 થી વધુ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેમાં શ્રમ કાયદાઓ, ઔદ્યોગિક સંબંધો, સામાજિક સંવાદ, શ્રમિક કલ્યાણ, કાર્યસ્થળની સલામતી, ઔદ્યોગિક સુરક્ષા, શ્રમિકોના જીવનની ગુણવત્તા અને બદલાતા શ્રમ કાયદાઓ જેવા વિષયોનો સમાવેશ થાય છે. અહી વિવિધ સરકારી વિભાગો, જાહેર ક્ષેત્રના ઉપક્રમો, ખાનગી ઉદ્યોગો અને શ્રમિક સંગઠનોની જરૂરિયાતોને અનુરૂપ વિશેષ તાલીમ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

તાલીમ ઉપરાંત સંસ્થાન દ્વારા શ્રમ અને શ્રમિક કલ્યાણ સંબંધિત વિવિધ સંશોધન અભ્યાસો હાથ ધરવામાં આવે છે, જેના તારણો રાજ્ય સરકારને નીતિ ઘડતર અને નિર્ણય પ્રક્રિયામાં ઉપયોગી બને છે. રાજ્યમાં સુમેળપૂર્ણ ઔદ્યોગિક સંબંધો જળવાઈ રહે તે હેતુથી ત્રિપક્ષીય સંમેલનો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદો, વર્કશોપ અને વિશેષ ચર્ચાસત્રોનું પણ આયોજન કરવામાં આવે છે.

મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનનું ભવન દેશના ખ્યાતનામ સ્થાપત્યકાર બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ (બી. વી.) દોષી દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેનું સ્થાપત્ય સૌંદર્ય અને કાર્યલક્ષી આયોજન તેને વિશિષ્ટ ઓળખ આપે છે. આશરે 12 હજાર ચોરસ મીટરના કેમ્પસમાં આવેલી આ સંસ્થામાં 170 બેઠક ક્ષમતાવાળું આધુનિક વાતાનુકૂલિત ઓડિટોરિયમ, 80 બેઠક ક્ષમતાવાળો સેમિનાર હોલ, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કોમ્પ્યુટર લેબોરેટરી, ગેસ્ટ હાઉસ, ઓપન એર થિયેટર તથા 22 હજારથી વધુ પુસ્તકો ધરાવતું સમૃદ્ધ ગ્રંથાલય જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.

સંસ્થાન છેલ્લા બે દાયકાથી વિવિધ અનુસ્નાતક અને વ્યવસાયલક્ષી અભ્યાસક્રમોનું પણ સફળતાપૂર્વક સંચાલન કરી રહ્યું છે. જેમાં એમ.એ. (એચ.આર. એન્ડ લેબર રિલેશન્સ), એમ.એ. (સાયકોલોજી), પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન લેબર લો એન્ડ પ્રેક્ટિસ, પોસ્ટ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી, પોસ્ટ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટલ ટેક્નોલોજી એન્ડ મેનેજમેન્ટ, એડવાન્સ ડિપ્લોમા ઇન ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એન્ડ લેબર કોડ્સ તેમજ વિવિધ સર્ટિફિકેટ કોર્સનો સમાવેશ થાય છે. આ અભ્યાસક્રમો દ્વારા યુવાનો અને કાર્યરત વ્યાવસાયિકોને શ્રમ અને ઔદ્યોગિક ક્ષેત્રે વિશેષ જ્ઞાન અને વ્યવસાયલક્ષી કૌશલ્ય પ્રાપ્ત કરવાની તક મળે છે.

શ્રમ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ મજબૂત બનાવવા માટે સંસ્થાને તાજેતરમાં દત્તોપંત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક વિકાસ અને શિક્ષણ કેન્દ્ર તથા ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) સાથે સમજૂતી કરારો (MoU) કર્યા છે. આ સહયોગના પરિણામે આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ તાલીમ, અભ્યાસક્રમ અને જ્ઞાનના આદાન-પ્રદાનને નવી દિશા મળી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande