
પાટણ, 11 જુલાઈ (હિ.સ.) ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિવિધ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું.
જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી ઉપલબ્ધ કરાવવાના હેતુથી યોજાયેલા આ કેમ્પમાં 61મા જન્મદિવસ નિમિત્તે 61 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. પાટણ શહેરના સમાલ પાર્ટી રામજી મંદિર, અંબિકા શાક માર્કેટ અને છીંડીયા દરવાજા ખાતે સવારે 8થી બપોરે 1 વાગ્યા સુધી કેમ્પ યોજાયો હતો.
ખોડલધામ ટ્રસ્ટ અને સદજ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે રક્તદાન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ અને કુદરતી આપત્તિઓમાં સહાય જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો સેવા કાર્યમાં સહભાગી બની સમાજને ઉપયોગી યોગદાન આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ