

વડોદરા, 12 જુલાઈ (હિ.સ.) : વડોદરા શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા રોડ પર અચાનક પડેલા ભૂવાને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. આ માર્ગ પરથી દરરોજ હજારો વાહનચાલકો ઉપરાંત કોલેજો અને યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અવરજવર કરે છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભૂવો પડતાં રસ્તાનો એક ભાગ જોખમી બની ગયો છે, જેના કારણે ટ્રાફિક ધીમો પડી ગયો છે અને પીક અવર્સ દરમિયાન વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તા પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા અને ચેતવણીના બોર્ડ ન હોવાથી અકસ્માતનો ભય પણ વધ્યો છે.
સ્થાનિકોએ તંત્ર સામે સવાલો ઉઠાવતા જણાવ્યું કે, વિકાસના દાવાઓ વચ્ચે વારંવાર રસ્તા ધસી પડવાની ઘટનાઓ ચિંતાજનક છે. લોકોનું કહેવું છે કે માત્ર સમારકામની જાહેરાતો પૂરતી નથી, પરંતુ ગુણવત્તાયુક્ત કામગીરી સાથે ઝડપથી રસ્તાનું સમારકામ પૂર્ણ કરવામાં આવે જેથી લોકોને રાહત મળી શકે.
સ્થાનિકો અને વાહનચાલકોએ તાત્કાલિક ધોરણે ભૂવાનું સમારકામ પૂર્ણ કરી માર્ગને ફરી સલામત અને અવરજવર માટે ખુલ્લો મૂકવાની માંગ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ