
સુરત, 12 જુલાઈ (હિ.સ.) : ધારાસભ્ય સંગીતાબેન પાટીલ દ્વારા શહેરના લિંબાયત સ્થિત ગીતા નગરના પૂરથી અસરગ્રસ્ત પરિવારોને અનાજ કીટ તેમજ પૂરમાં નુકસાન સામે આર્થિક સહાયરૂપે રૂ.6800 કેશડોલ્સ અને ઘરવખરી સહાયનું વિતરણ કરાયું હતું. વિતરણ કરાયેલી અનાજની કીટમાં 5–5 કિલો ઘઉં, ચોખા તેમજ કાંદા બટાકા આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યએ અસરગ્રસ્ત પરિવારોની રૂબરૂ મુલાકાત લઈને તેમની મુશ્કેલીઓ જાણ્યાં બાદ સાંત્વના પાઠવી હતી. તેમજ આપદાના આ સમયમાં રાજ્ય સરકાર સતત તેમની પડખે હોવાનું જણાવી આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે, વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી દ્વારા કરાયેલા આદેશને આધીન જિલ્લા વહીવટી તંત્ર 24 કલાક કાર્ય કરી શહેરીજનોને મદદરૂપ થવાના પ્રયાસો કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુરત શહેર સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પરિણામે શહેરમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિના કારણે શહેરીજનોને થયેલા આર્થિક નુકસાન સામે તેઓ વહેલી તકે પોતાનું સામાન્ય જીવન પુનઃ શરૂ કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા ઝડપી સર્વે કરીને વિના વિલંબે સહાય ચૂકવવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે