
ભાવનગર, 16 જુલાઈ (હિ.સ.) ભાવનગરમાં શિક્ષણને પ્રોત્સાહન આપવાના હેતુથી કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી હતી. દાતા અંજના ગઢવીના સહયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી કસ્તુરબા મોહનદાસ ગાંધી પ્રાથમિક શાળા નં. 48 ખાતે અભ્યાસ કરતા આશરે 150 વિદ્યાર્થીઓને પેન્સિલ કીટ અને લંચબોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉપયોગી સામગ્રી પૂરી પાડી તેમના અભ્યાસને પ્રોત્સાહન આપવાનો હતો.
ટ્રસ્ટના સેક્રેટરી ઈશભાઈ કાગના હસ્તે વિદ્યાર્થીઓને પેન્સિલ કીટ અને લંચબોક્સ અર્પણ કરવામાં આવ્યા હતા. ઉપયોગી ભેટો મળતાં વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ જોવા મળ્યો હતો. શાળાના શિક્ષકો અને ટ્રસ્ટના સભ્યોએ વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરવા તેમજ મળેલી સામગ્રીનો યોગ્ય ઉપયોગ કરવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્યએ પદ્મશ્રી ભક્તકવિ દુલા ભાયા કાગ (કાગબાપુ)ના જીવન, સાહિત્ય અને સમાજસેવાના કાર્યો અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. તેમણે કાગબાપુની લોકપ્રિય રચના ‘તારા આંગણિયા પૂછીને કોઈ આવે રે…’નો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને આગામી ધોરણોમાં આ કૃતિનો અભ્યાસ પણ કરાવવામાં આવશે, જેનાથી તેઓ ગુજરાતી સાહિત્યના અમૂલ્ય વારસાથી પરિચિત બનશે.
કાર્યક્રમના અંતે ટ્રસ્ટ દ્વારા દાતા અંજના ગઢવીના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ ભવિષ્યમાં પણ શિક્ષણ, સંસ્કાર અને સમાજસેવાને પ્રોત્સાહન આપતી આવી સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને યાદગાર બની રહ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA