
અમરેલી, 12 જુલાઈ (હિ.સ.) : અમરેલી જિલ્લાના બરવાળા બાવીસી ગામે રાજ્યના મંત્રી કૌશિક વેકરિયાએ મુલાકાત લઈને તાજેતરના ભારે વરસાદને કારણે થયેલી નુકસાનીનું સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન ગામના વિવિધ વિસ્તારોમાં વરસાદથી અસરગ્રસ્ત સ્થળોની માહિતી મેળવી હતી તેમજ સ્થાનિક લોકો સાથે સીધી વાતચીત કરીને તેમની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળી હતી.
આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક અગ્રણી, આગેવાનો, ગ્રામજનો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીએ વરસાદને કારણે ખેતી, રસ્તાઓ અને અન્ય જાહેર સુવિધાઓને થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક જરૂરી કામગીરી હાથ ધરવા તેમજ લોકોને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવા સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
મુલાકાત દરમિયાન મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વરસાદથી પ્રભાવિત લોકોની સાથે છે અને નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને સરકારના નિયમો મુજબ સહાય પહોંચાડવામાં આવશે. તેમણે સ્થાનિક તંત્રને સતર્ક રહી રાહત અને પુનઃસ્થાપન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો.
ગામલોકોએ પણ પોતાની સમસ્યાઓ મંત્રી સમક્ષ રજૂ કરી હતી, જેના નિરાકરણ માટે મંત્રીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આ મુલાકાતથી સ્થાનિકોમાં સરકાર પ્રત્યે વિશ્વાસ વધુ મજબૂત બન્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai