



પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) : તાજેતરમાં સમસ્ત બારગામ ખારવા જ્ઞાતિના વાણોટ તરીકે કાંતિભાઈ બાદરશાહીની વરણી થતાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા પંચાયત મઢી ખાતે પહોંચ્યા હતા અને નવનિયુક્ત વાણોટશ્રીને શુભેચ્છાઓ પાઠવી તેમની નવી જવાબદારી સફળતાપૂર્વક નિભાવવા શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મંત્રીએ જ્ઞાતિના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજન સાથે સૌહાર્દપૂર્ણ સંવાદ સાધ્યો હતો. તેમણે સમાજની એકતા, સંગઠન અને પરસ્પર સહકારની ભાવના વધુ મજબૂત બને તે માટે સૌએ સંયુક્ત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મંત્રીએ ખાસ કરીને સાગરખેડુના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષણનું વધતું સ્તર, કૌશલ્ય વિકાસ અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ સમાજને નવી દિશા આપી શકે છે. સાથે જ સ્થાનિક સ્તરે રોજગારી અને નવા વ્યવસાયોની તકો ઊભી કરીને યુવા પેઢીનું સ્થળાંતર અટકાવવાની જરૂરિયાત અને ભાવિ આયોજન અંગે માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે,પોરબંદર પાસે દરિયાઈ સંપત્તિ, વેપાર, પ્રવાસન અને માછીમારી જેવા અનેક ક્ષેત્રોમાં વિકાસની વિશાળ સંભાવનાઓ છે. સરકાર અને સમાજના સંયુક્ત પ્રયાસોથી સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થશે, યુવાનોને પોતાના વતનમાં જ ઉજ્જવળ ભવિષ્ય મળશે અને પોરબંદર વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કપિલભાઈ કોટેચા, કાઉન્સિલર અજયભાઈ બાપોદરા, જિલ્લા ભાજપ મહામંત્રી રામભાઈ મોકરીયા, સમાજના આગેવાનો, હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં જ્ઞાતિજન ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya