


વડોદરા , 12 જુલાઈ (હિ.સ.) વડોદરામાં ગણેશોત્સવની તૈયારીઓનો શ્રીગણેશ, 'મનમોહન યુવા મંડળ'માં ભક્તિભાવ સાથે પાઠ પૂજન યોજાયું
વડોદરા શહેરમાં ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે શહેરના જાણીતા અને વડોદરાના મહારાજા તરીકે ઓળખાતા મનમોહન યુવા મંડળ દ્વારા, આ વર્ષની ભવ્ય ઉજવણી માટેની તૈયારીઓનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો છે.
મંડળના 38મા વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે, આજે વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભક્તિભાવપૂર્વક પાઠ પૂજન યોજાયું હતું. આ ધાર્મિક વિધિમાં મોટી સંખ્યામાં ભક્તો, કાર્યકરો અને સ્થાનિકોએ હાજરી આપી ભગવાન ગણેશજીના આશીર્વાદ મેળવ્યા હતા.
મંડળના આયોજક સન્ની પટેલે જણાવ્યું હતું કે, ગણેશોત્સવની તૈયારીઓ હવે પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. પાઠ પૂજન બાદ જાણીતા ગાયક સન્ની જાદવના લાઈવ સંગીત કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
દર વર્ષે પોતાની અનોખી થીમ અને ભવ્ય શણગાર માટે જાણીતા મનમોહન યુવા મંડળે આ વર્ષે પણ કંઈક વિશેષ આયોજન કર્યું હોવાનું જણાવ્યું છે. જોકે, આ વર્ષની થીમ અંગે આયોજકોએ હાલ કોઈ ખુલાસો કર્યો નથી અને તેને ભક્તો માટે સરપ્રાઈઝ રાખવામાં આવી હોવાનું જણાવ્યું છે.
હવે સૌની નજર એ વાત પર છે કે, આ વર્ષે વડોદરાના મહારાજા કઈ નવી થીમ અને ભવ્ય શણગાર સાથે ભક્તોને આકર્ષશે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ