
અમરેલી,12 જુલાઈ (હિ.સ.) અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે નીકળેલા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાની સાદગીનો, એક પ્રસંગ ચર્ચાનો વિષય બન્યો છે. વડીયા તાલુકાના જંગર ગામે મુલાકાત દરમિયાન તેમણે એક ખેડૂતની સામાન્ય ઝૂંપડીમાં જઈ પરિવાર સાથે મુલાકાત કરી હતી. મંત્રીશ્રીએ કોઈ ઔપચારિકતા વગર, સામાન્ય ખેડૂતની જેમ બેસીને તેમની મુશ્કેલીઓ અને વરસાદથી થયેલા નુકસાન અંગેની વેદના ધ્યાનપૂર્વક સાંભળી હતી.
મુલાકાત દરમિયાન ખેડૂત પરિવારે પ્રેમથી ચા પીરસતા રાજ્યમંત્રીએ તેનો સહર્ષ સ્વીકાર કર્યો અને પરિવાર સાથે આત્મીય વાતચીત કરી હતી. વરસાદના કારણે પાક, ખેતી અને રોજિંદા જીવન પર પડેલી અસર અંગે ખેડૂતોએ પોતાની રજૂઆત કરી હતી.
રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ સંબંધિત અધિકારીઓને અસરગ્રસ્ત ખેડૂતોને સરકારના નિયમો મુજબ જરૂરી સહાય અને રાહત સમયસર પહોંચે તે માટે સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું કે, સરકાર દરેક અસરગ્રસ્ત પરિવારની સાથે છે અને નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મંત્રીશ્રીની આ સાદગીભરી મુલાકાતે, ગ્રામજનોમાં સકારાત્મક સંદેશ આપ્યો હતો. ખેડૂત પરિવારે પણ પોતાની વચ્ચે જનપ્રતિનિધિને જોઈ આનંદ વ્યક્ત કર્યો હતો અને તેમની સરળતા તથા આત્મીય વ્યવહારની પ્રશંસા કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai