


અમદાવાદ, 12 જુલાઈ (હિ.સ.) : અમદાવાદના ભાડજ ખાતે રવિવારે સવારે '5 મિલિયન ટ્રી પ્રોજેક્ટ' અંતર્ગત વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ભારતના માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના 1,100થી વધુ સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સ્વયંસેવકોએ સુવ્યવસ્થિત આયોજન સાથે કુલ 30,000થી વધુ નવા વૃક્ષોનું વાવેતર કરીને હરિત પર્યાવરણના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ પર્યાવરણનું સંરક્ષણ, હરિયાળીનું સંવર્ધન અને આવનારી પેઢીને સ્વચ્છ તથા સ્વસ્થ પર્યાવરણની અમૂલ્ય ભેટ આપવાનો છે.
BAPS સ્વામિનારાયણ સંસ્થા ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી, આધ્યાત્મિક પ્રવૃત્તિઓની સાથે શિક્ષણ, આરોગ્ય, આપત્તિ રાહત, વ્યસનમુક્તિ તેમજ પર્યાવરણ સંરક્ષણ જેવા અનેક સેવાકાર્યોમાં સતત કાર્યરત છે. 'બીજાના સુખમાં આપણું સુખ'ના જીવનમંત્રને સાકાર કરતાં સંસ્થાના સ્વયંસેવકો સમાજહિતના વિવિધ કાર્યોમાં નિઃસ્વાર્થ ભાવથી જોડાયેલા રહે છે.
આ પ્રસંગે BAPSના સ્વયંસેવકોએ વૃક્ષારોપણ ઉપરાંત, વૃક્ષોના જતન અને સંવર્ધનનો પણ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. હરિત ભારતના નિર્માણ માટે સમાજના દરેક વર્ગને વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણના આ અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ