





પોરબંદર, 12 જુલાઈ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના કડેગી, કાંસાબડ, છત્રાવા ગામો અને અમીપુર ડેમ ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા તથા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ મુલાકાત લઈ સ્થાનિક વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન બંને મંત્રીઓએ ગ્રામજનો સાથે આત્મીય સંવાદ સાધી તેમની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી હતી તેમજ સ્થાનિકોના ગ્રામજનોના વિવિધ પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ થાય તે દિશામાં જરૂરી કાર્યવાહી કરવા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મંત્રીઓએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે સ્થાનિકો પાસેથી પ્રતિસાદ મેળવ્યો હતો. ગ્રામજનોએ વિસ્તારના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ રજૂ કરતાં મંત્રીઓએ લોકોની સમસ્યાઓનું સંવેદનશીલતાથી નિરાકરણ લાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં પ્રધાનમંત્રી કાર્યાલયનું નામ બદલીને 'સેવા તીર્થ' રાખ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય નાગરિકોની ફરિયાદોનું નિવારણ કરીને લોકસેવા કરવાનો છે. દેશના વડાપ્રધાન પોતે પણ પોતાને દેશના 'પ્રધાન સેવક' ગણાવે છે. અને જનપ્રતિનિધિ તરીકે લોકોની વચ્ચે રહીને તેમની સમસ્યાઓ સમજવી એ સ્વાભાવિક પ્રક્રિયા હોવાનું જણાવી તેમણે ઘેડ પંથકના વિકાસ કાર્યોની વિગતો આપી હતી.
મંત્રી અર્જુન મોઢવાડિયાના પ્રયાસોથી ઘેડ વિસ્તારમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે 1500 કરોડ રૂપિયાનું પેકેજ તેમજ ઘેડ વિસ્તારના રસ્તાના કામો માટે વધારાના રૂપિયા સરકારે ફાળવ્યા હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
સરકારની આર્થિક અને વહીવટી નીતિઓ અંગે વાત કરતા મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે અગાઉ વેટ (VAT) ની વ્યવસ્થામાં 34% સુધી ટેક્સ વસૂલવામાં આવતો હતો, જેને જીએસટી (GST) બાદ પીએમ મોદીના નેતૃત્વમાં ઘટાડીને 14% સુધી લાવવામાં આવ્યો છે. ટેક્સના દરમાં ઘટાડો કરવા છતાં સરકારી તિજોરીમાં ભ્રષ્ટાચારના બાકોરા બંધ થવાને કારણે આવક વધી છે, જેના લીધે જ જનહિતના કામો પાછળ મોટો ખર્ચ કરી શકાય છે.
કોરોના કાળની પરિસ્થિતિને યાદ કરતા તેમણે ઉમેર્યું હતું કે દુનિયાના દેશો ભારતની વિશાળ વસ્તીને કારણે ચિંતિત હતા, પરંતુ પીએમ મોદીના કુશળ વ્યવસ્થાપનને લીધે દેશે આ મહામારીનો મજબૂતીથી સામનો કર્યો, જેની વૈશ્વિક સ્તરે પ્રશંસા થઈ છે. હાલમાં વૈશ્વિક સ્તરે પેટ્રોલિયમ પેદાશોના ભાવો બમણા થઈ રહ્યા છે ત્યારે ભારતમાં માત્ર 8% જેટલો જ ભાવવધારો થવા દીધો છે અને ઓઈલ કંપનીઓની ખોટ સરકારે પોતાના માથે લઈને નાગરિકોને મોટી રાહત આપી છે.
ખેડૂતોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતા તેમણે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાતરની એક બેગની કિંમત આશરે 4,000 રૂપિયા હોવા છતાં, દેશના ખેડૂતોને તે ખૂબ જ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
આ ઉપરાંત ગયા વર્ષે અતિવૃષ્ટિના સમયે રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયાનું રાહત પેકેજ આપ્યું હતું અને ખેડૂતોની મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી કરીને સીધા રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા હતા.
અંતે મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ પ્રવાસ અને રૂબરૂ મુલાકાતનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે નકશા પર સ્થિતિ જોવી અને પ્રત્યક્ષ જમીની હકીકત અનુભવવી એ બંને વચ્ચે મોટો તફાવત છે, અને તે જ ઉદ્દેશ્ય સાથે તેઓ રૂબરૂ આવીને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લાનો ઘેડ વિસ્તાર છેવાડાનો અને દરિયાકાંઠાનો નાનો વિસ્તારની વાત કરતા જણાવ્યું આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પૂર આવવું અને જરૂરિયાતના સમયે સિંચાઈ માટે પાણી ન મળવું એ એક મોટો પડકાર હતો. આ મુશ્કેલીના કાયમી નિવારણ માટે ડૉ. મનસુખભાઈ માંડવીયાના અવિરત પ્રયાસોથી આશરે 1500 કરોડના બજેટ સાથે 'ઘેડ પુનઃઉત્થાન યોજના' મંજૂર કરવામાં આવી છે. આ યોજના હેઠળ ઘેડમા કેનાલો ઊંડી કરવા તથા ચેકડેમ અને તળાવો બનાવવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, વર્ષ 2026-27 ના બજેટમાં પહેલીવાર ખાસ ઘેડ વિસ્તારના રસ્તાઓને મજબૂત કરવા માટે કરોડો રૂપિયાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
વધુમાં તેમણે વડાપ્રધાનશ્રીના 'વિકસિત ભારત 2047'ના વિઝનનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે, આઝાદીના 100 વર્ષ પૂર્ણ થતાં સુધીમાં વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને વિકસિત પોરબંદરની પ્રાપ્ત થાયએ દિશામાં સરકાર કામ કરી રહી છે.
પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, ઘેડ વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી વિકાસલક્ષી કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિવિધ વિકાસ કાર્યોના પરિણામે આ વિસ્તારના લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થયો છે.
જિલ્લા પંચાયત પ્રમુખશીતલબેન ઓડેદરાએ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, મંત્રી અર્જુન મોઢવાડીયા સહિત તમામ ઉપસ્થિતિનો આભાર માન્યો હતો તેમજ વિકસિત પોરબંદર બનાવવા તમામના સહયોગનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અમીપુર ડેમની મુલાકાત દરમિયાન ડેમની સ્થિતિ અને તેના વિસ્તારના વિકાસલક્ષી મહત્વ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સ્થાનિકોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપી વિકાસયોજનાઓને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા અંગે મંત્રીઓએ ભાર મૂક્યો હતો અને મંત્રીઓએ છાત્રાવા ખાતે શ્રી વચ્છરાજ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી રામભાઈ કરગઠીયા, અગ્રણી સર્વ ઢેલીબેન ઓડેદરા, ભરતભાઈ પરમાર, ભરતભાઈ ઓડેદરા, લીલાભાઇ રાવલીયા, અરજણભાઈ, મસરીભાઇ સહિત સ્થાનિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya