
ગીર સોમનાથ, 13 જુલાઈ (હિ.સ.) : રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૭ સુધી મેલેરીયા મુકત ગુજરાતનું લક્ષ્ય પાપ્ત કરવા નિર્ધાર કરવામાં આવેલ છે. '' મેલેરીયા મુકત ગુજરાત ’’ સુત્રને સાર્થક કરવા સક્રિય પ્રયત્નો તમામ જિલ્લાઓ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે “મેલેરિયાના અંત માટે આપણે પ્રતિબદ્ધ છીએ: આપણે લાવીને જ રહીશું.” થીમ આધારે જનજાગૃતિની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં જૂન માસને મેલેરીયા વિરોધી માસ અને જુલાઈ માસ ને ડેન્ગ્યું વિરોધી માસ તરીકે ઉજવવામાં આવ્યો હતો.
જે અન્વયે ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર, મેલેરિયા(આરોગ્ય)શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથ તથા ગીર સોમનાથ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અરુણ રોય અને જીલ્લા મેલેરિયા અધિકારી ડો.ડી.કે.ગૌસ્વામીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના કુલ ૩૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૦૪ અર્બન હેલ્થ સેન્ટર ગીર સોમનાથ આરોગ્ય સ્ટાફ દ્વારા જિલ્લાના તમામ ગામો / શહેરી વિસ્તારના હાઉસ ટુ હાઉસની મુલાકાત લેવામાં આવી હતી. હાલમાં થઈ રહેલ સર્વેલન્સ દરમિયાન તમામ શંકાસ્પદ મેલેરીયા કેસોના કુલ- ૪૧૮૫ લોહીના નમુનાનું માઈક્રોસ્કોપી પરીક્ષણ કરવામાં આવેલ હતું.
આ ઉપરાંત જિલ્લાનાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પોરાનાશક કામગીરી અંગે જુલાઈ માસમાં હાઉસ ટુ હાઉસ સઘન સર્વે ઝુંબેશ રાઉન્ડ દરમ્યાન ૨૫૮૩૬૦ ઘરની તપાસ કરતાં ૪૧૮૫ તાવના કેસ મળી આવ્યા હતા. જે તમામની માઇક્રોસ્કોપી ટેસ્ટ કરાયા તથા ૧૬૫૪૪૬૦ પાત્રોની ચકાસણી કરતાં ૮૩૦૧ પાત્રો પોઝીટીવ બ્રીડીગ વાળા જોવા મળ્યા હતા. જે તમામનો સ્થળ ઉપર જ નાશ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે પોઝીટીવ બ્રીડીંગ વાળા પાત્રોમાં ટેમીફોસ દવા
દ્વારા તેમજ સોર્સ રિડકશનથી નિકાલ કરવામાં આવ્યો છે. તેમજ ખાડા ખાબોચિયામાં ઓઈલ બોલ/ડાયફ્લ્યુબેન્ઝુરોન ૨૫% નો છંટકાવ કરવામાં આવ્યો છે.
જુન માસ દરમ્યાન જિલ્લામાં કુલ-૪૧૭ સ્થળ ખાતે પોરાભક્ષક માછલીઓ પણ મુકવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં ટેમીફોસ, ડાઇફલુબેંઝુરોન છંટકાવ, ઓઇલ બોલ, સોર્સ રીડકશનની કામગીરી પણ કરવામાં આવી રહી છે.
ગીર સોમનાથ મેલેરિયા શાખા દ્વારા જનજાગૃતિના ભાગરૂપે પ્રચાર પ્રસાર દ્વારા મેલેરીયા-ડેન્ગ્યુ –ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોની સમજણ કેળવવામાં આવી રહી છે. મચ્છર ઉત્પતિ સ્થાનો, સ્વ બચાવ માટેના ઉપાયો માટે અત્રે ના જીલ્લા ની તમામ શાળા/કોલેજ માં પોરા અને પોરાભક્ષક માછલી નું લાઇવ ડેમો પ્રદર્શન કરવામાં આવેલ તેમજ જન
સમુદાયમાં જાગૃતિ, પત્રિકા વિતરણ, જાહેર સ્થળ ખાતે પોસ્ટર્સ ડીસ્પલે, લઘુ શીબીર, ગુરુ શીબીર, ગ્રુપ ચર્ચા, લોક ભાગીદારી થકી વાહક જન્ય રોગો અટકાવવા સમજ કેળવવામાં આવી રહી છે.
મેલેરીયા રોગના અટકાયત માટે સર્વે નાગરિકો પણ આ અંગે જાગૃત્ત બને, મચ્છરના ઉપદ્રવના સ્થાનોને નિયંત્રિત કરે તે જરુરી છે. માદા એનોફિલીસ એ મચ્છર મેલેરિયાનો ફેલાવો કરે છે, જે મોટેભાગે રાત્રે કરડે છે. માદા એડીસ મચ્છરથી ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને ઝીકા વાયરસ ફેલાઇ છે. જ્યાં ચોખ્ખું-ખુલ્લું અને બંધિયાર પાણી મળે ત્યાં આ મચ્છરોની ઉત્પતિ થાય છે.
આથી, પાણી સંગ્રહના તમામ પાત્રો, હવાચુસ્ત ઢાંકીને રાખવા સાથે ઘરમાં કે ઘરની બહાર ક્યાંય પાણીનો ભરાવો ન થવા દેવો, ફ્રીજની પાછળની ટ્રે, પક્ષીકુંજ, પશુઓને પાણી પીવાની કુંડી સહિત સ્થાનો પર પાણી ખાલી કરવા, તેને સૂકાવા દેવા. આમ, મચ્છરોની ઉત્પતિ અટકાવવા કાળજી લઇએ અને જાગૃત નાગરિક તરીકે જરૂરી સાવચેતી રાખવા ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ