
અમદાવાદ,13 જુલાઇ (હિ.સ.) અમદાવાદ જિલ્લાના સાણંદમાં મુનિ આશ્રમ નાયરા પેટ્રોલ પંપની પાછળ 8 ફૂટ લાંબા અજગરને વન્યજીવ પ્રેમીઓએ સુરક્ષિત રેસ્ક્યુ કર્યો.
સાણંદના મુનિ આશ્રમ પાસે આવેલા નાયરા પેટ્રોલ પંપની પાછળના વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક વિશાળકાય અજગર જોવા મળ્યો હતો. આશરે 7 થી 8 ફૂટ લાંબા આ અજગરને ખુલ્લા રોડ પર લહેરાતો જોઈને સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો.
આ ઘટના ગઈકાલે રાત્રે આશરે 10 વાગ્યાના સુમારે બની હતી, જ્યારે અજગર રહેણાંક વિસ્તારની નજીક આવી ચઢ્યો હતો. રસ્તા પર અજગર હોવાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને સાવચેતીના ભાગરૂપે તંત્રને જાણ કરવામાં આવી હતી.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અમદાવાદની 'એનિમલ વાઈલ્ડલાઈફ કેર' ટીમને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ રાત્રે 12 વાગ્યાના સુમારે ઘટનાસ્થળે પહોંચી હતી. નિષ્ણાતો દ્વારા ઘણી જ સાવધાનીપૂર્વક અને બે કલાકની ભારે જહેમત બાદ અજગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ