
- વધતા અકસ્માતને લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટનો નિર્ણય
અમદાવાદ,13 જુલાઇ (હિ.સ.) રાજ્યમાં દિવસે દિવસે સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા થતા વાહનના ગંભીર અકસ્માતોને લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળ ટ્રસ્ટ દ્વારા ગુજરાતની તમામ ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને એક અપીલ કરવામાં આવી છે.જો કોઈ વિદ્યાર્થી વાહન લઈને શાળાએ આવે તો તેની પાસેથી વાલીની લેખિત અરજી અને ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ મેળવીને શાળાના દફતરે (રેકોર્ડ પર) રાખવી જોઈએ. રાજ્યમાં રસ્તાઓ પર સતત વધતો જતો વાહન વ્યવહાર અને સગીર વયના વિદ્યાર્થીઓ દ્વારા થતા ગંભીર અકસ્માતો તેમજ મોતના દુઃખદ કિસ્સાઓને ધ્યાનમાં રાખીને મહામંડળે વિદ્યાર્થીઓના જીવ બચાવવા માટે કડક બનવા વિનંતી કરી છે.
આરટીઓ ના નિયમો અનુસાર સગીર વયના અને ડ્રાઇવિંગ લાઇસન્સ ન ધરાવતા વિદ્યાર્થીઓ શાળામાં ટુ-વ્હીલર લઈને આવે તેના પર પ્રતિબંધ મૂકવાની શાળા સંચાલકોની ફરજ બને છે.
આ સુરક્ષા પગલાના ભાગરૂપે મહામંડળના પ્રમુખ પ્રિ. ભાસ્કર રા.પટેલે સૂચન કર્યું છે કે, જો કોઈ વિદ્યાર્થી વાહન લઈને શાળાએ આવે તો તેની પાસેથી વાલીની લેખિત અરજી અને ડ્રાઇવિંગ લાઇસન્સની નકલ મેળવીને શાળાના દફતરે (રેકોર્ડ પર) રાખવી જોઈએ.
આવા નિયમબદ્ધ વિદ્યાર્થીઓને શાળા શરૂ થવાના અને છૂટવાના સમયની નોંધ સાથે જ મંજુરી આપી શકાય. શિક્ષણની સાથે શિસ્ત અને સંસ્કાર આપતી આપણી સંસ્થાઓ તથા સમાજ કોઈ મુશ્કેલીમાં ન મુકાય તે માટે આજથી જ આ બાબતે આકરા પગલાં લેવા તમામ શાળા સંચાલકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ