

કચ્છ, 14 જુલાઈ (હિ.સ.) :પર્યાવરણનું સંરક્ષણ અને હરિયાળા ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા વૃક્ષારોપણ મહાઅભિયાનને નખત્રાણા તાલુકાના વાલકા મોટા ગામે ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો. રવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવેલા વાલકા મોટા આયુષ્માન આરોગ્ય મંદિરે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, લોકપ્રતિનિધિઓ, શિક્ષણ જગતના પ્રતિનિધિઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ભાગ લઈને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમનું આયોજન કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) શ્રીમતી કાજલ દાફડા અને ફીમેલ હેલ્થ વર્કર (FHW) શ્રીમતી રોશનીબેન પંડ્યાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ અવસરે આશરે 60થી વધુ વિવિધ જાતિના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. માત્ર વૃક્ષો વાવવા પૂરતું જ નહીં, પરંતુ તેમના જતન અને સંવર્ધનની જવાબદારી પણ દરેક નાગરિકે સ્વીકારવી જોઈએ તેવો સંદેશ ઉપસ્થિત મહાનુભાવોએ આપ્યો હતો.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ઓસમાણભાઈ સુમરા, ગામના સરપંચ ચંદુભાઈ પટેલ, ગામના હોદ્દેદારો, આગેવાનો, ગ્રામજનો તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. સૌએ મળીને હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
વૃક્ષારોપણ કાર્યક્રમ સાથે વિશ્વ વસ્તી દિવસની પણ અર્થપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના અધિકારીઓએ પરિવાર કલ્યાણ, માતા અને બાળકના આરોગ્ય, વસ્તી સ્થિરતા તેમજ સ્વસ્થ સમાજના નિર્માણ માટે અપનાવવાના આરોગ્યલક્ષી ઉપાયો અંગે ગ્રામજનોને માહિતગાર કર્યા હતા. આરોગ્ય જાગૃતિ અને પર્યાવરણ જાગૃતિને એકસાથે જોડતો આ કાર્યક્રમ ગામલોકો માટે પ્રેરણાદાયી બન્યો હતો.
કાર્યક્રમના અંતે આયોજકોએ ઉપસ્થિત તમામ મહાનુભાવો, ગ્રામજનો, શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. એક વૃક્ષ અનેક પેઢીઓનું જીવન છે એવા સંદેશ સાથે સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેનું સંરક્ષણ કરવાની અપીલ કરવામાં આવી હતી. વાલકા મોટામાં યોજાયેલો આ મહાઅભિયાન હરિયાળા અને સ્વસ્થ સમાજના નિર્માણ તરફનું મહત્વપૂર્ણ પગલું સાબિત થયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar