



પોરબંદર, 14 જુલાઈ (હિ.સ.)પોરબંદર શહેરની પંજાબ નેશનલ બેંકમાં વિવાદજનક પત્ર મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. પત્રમાં રાજકીય નેતાઓ અંગે અપમાનજનક અને બિભત્સ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તેમજ 'પાકિસ્તાન જિંદાબાદ' જેવા શબ્દો લખાયેલા હોવાની પ્રાથમિક માહિતી સામે આવતાં સમગ્ર મામલો ગંભીર બન્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ બેંક મેનેજરને એક અજાણ્યો વ્યક્તિ રૂબરૂ આવી પત્ર આપીને ચાલ્યો ગયો હતો. પત્ર વાંચ્યા બાદ તેમાં વાંધાજનક અને ઉશ્કેરણીજનક લખાણ હોવાનું જણાતા બેંક મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક કમલાબાગ પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસે બેંક મેનેજરની પૂછપરછ કરીને પત્ર કઈ પરિસ્થિતિમાં મળ્યો, પત્ર લાવનાર વ્યક્તિનું વર્ણન અને અન્ય વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ બેંકમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કરીને પત્ર આપનાર અજાણ્યા વ્યક્તિની ઓળખ મેળવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં પત્રમાં રાજકીય નેતાઓ અંગે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તેમજ 'પાકિસ્તાન જિંદાબાદ' જેવા શબ્દોનો ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે. જોકે, પત્ર કોણે અને કયા હેતુથી લખ્યો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ આગળ વધારવામાં આવી રહી છે. પત્રમાં રહેલા લખાણ, હસ્તાક્ષર, કાગળ સહિતના અન્ય પુરાવાઓનું પણ પરીક્ષણ કરવામાં આવશે. જરૂર જણાય તો અન્ય તપાસ એજન્સીઓની મદદ પણ લેવામાં આવી શકે છે. હાલ પોલીસે બેંક અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની ચકાસણી, સંદિગ્ધ વ્યક્તિની ઓળખ અને પત્રના સ્ત્રોત સુધી પહોંચવા માટે તપાસ તેજ બનાવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya