
જામનગર, 14 જુલાઈ (હિ.સ.) : સ્વચ્છતા પખવાડિયા-2026ના ઉપક્રમે રાષ્ટ્રીય સાંખ્યિકી કચેરી, ઉપ-પ્રાદેશિક કચેરી, જામનગર દ્વારા એસ.વી.ઈ.ટી.કોલેજ, જામનગર ખાતે વૃક્ષારોપણ તથા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમનું આયોજન સહાયક નિયામક શ્રી શોભ રાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓને અધિકૃત આંકડાશાસ્ત્રના મહત્વ, વૈજ્ઞાનિક પદ્ધતિથી આંકડાઓના સંગ્રહ તેમજ દેશના વિકાસ અને નીતિ નિર્માણમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે સ્વચ્છતા પખવાડિયાના હેતુઓ, પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા અને વૃક્ષારોપણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને પ્રકૃતિના સંરક્ષણ માટે જવાબદારીપૂર્વકની ભૂમિકા નિભાવવા તેમજ સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ અંતર્ગત SVET કોલેજ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ લોકોએ રોપાયેલા વૃક્ષોની જાળવણી અને નિયમિત સંભાળ રાખવાનો સંકલ્પ લીધો હતો. ઉપરાંત, રાષ્ટ્રીય સાંખ્યિકી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓને પણ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દરેક પરિવારે ઓછામાં ઓછો એક છોડ વાવી તેની સંભાળ રાખે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો.
‘’હર ઘર એક છોડ’’ના સંદેશ સાથે હરિત, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી ભારતના નિર્માણ માટે જનભાગીદારીનું આહ્વાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાષ્ટ્રીય સાંખ્યિકી કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ એસ.વી.ઈ.ટી. કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt