
ભાવનગર,15 જુલાઈ (હિ.સ.) ભાવનગર શહેરમાં વણશોધાયેલા મિલકત સંબંધિત ગુનાઓની તપાસ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે પાંચ શખ્સોની ધરપકડ કરી ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી કુલ રૂ. 1,50,711નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
એલસીબી પોલીસને બાતમી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા અજય ઉર્ફે તકિયો, નાસીરહુસૈન ઉર્ફે નાગ, લકકી ઉર્ફે બાદશાહ, શાહરૂખ ઉર્ફે બાઠીયો ઉર્ફે ભુરીયો પઠાણ અને ફારૂક કાળુભાઈ શેખ રસાલા કેમ્પ વિસ્તારમાં ભેગા થયા છે અને તેમની પાસે શંકાસ્પદ સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ છે. બાતમીના આધારે પોલીસે ગુરુદ્વારા સામે આવેલા ગધેડિયા ફિલ્ડ વિસ્તારમાં દરોડો પાડી પાંચેયને ઝડપી લીધા હતા.
તપાસ દરમિયાન આરોપીઓ પાસે સોનાની વીંટી, સોનાની ગીની, સોનાનું પેન્ડન્ટ, ચાંદીની કડલીઓ, ચાંદીના છડા, રૂદ્રાક્ષની માળા, ચાંદીનું સાંકળું, રોકડ રૂ. 53,739, ચાર મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.50 લાખથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીઓ તેની માલિકી અંગે કોઈ આધાર કે બિલ રજૂ કરી શક્યા નહોતા.
કડક પૂછપરછ દરમિયાન આરોપીઓએ પાંચેક દિવસ પહેલાં બારસો મહાદેવની વાડી વિસ્તારમાં આવેલા બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કરી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને બે મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ આધારે પોલીસે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
પોલીસે પાંચેય આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ નિલમબાગ પોલીસ સ્ટેશનને સોંપ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાત્રિના સમયે બંધ મકાનોને નિશાન બનાવી તાળા તોડી ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. પાંચેય આરોપીઓ સામે અગાઉ પણ ચોરી અને ઘરફોડના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA