
પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલની બ્લડ બેંક સહિત શહેરની વિવિધ ખાનગી બ્લડ બેંકોમાં રક્તની અછત સર્જાતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીએ નાગરિકોને સ્વૈચ્છિક રક્તદાન કરવા અપીલ કરી છે.
રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે જુલાઈઓગસ્ટ દરમિયાન અકસ્માતગ્રસ્ત દર્દીઓ, સર્જરી, થેલેસેમિયા અને અન્ય ગંભીર દર્દીઓ માટે રક્તની માંગ વધે છે, જ્યારે રક્તદાનનું પ્રમાણ ઘટી જાય છે.તેમણે શહેરની સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓને રક્તદાન કેમ્પો યોજવા તેમજ યુવાનોને વધુમાં વધુ રક્તદાન માટે પ્રેરિત કરવા અનુરોધ કર્યો હતો.
રક્તદાન સંપૂર્ણ સુરક્ષિત અને સરળ પ્રક્રિયા હોવાનું જણાવી તેમણે સ્વસ્થ નાગરિકોને નજીકની બ્લડ બેંક અથવા રક્તદાન કેમ્પમાં જઈ નિયમિત રક્તદાન કરવાની અપીલ કરી હતી. “એક યુનિટ રક્ત અનેક દર્દીઓ માટે જીવનદાયી બની શકે છે,” તેમ જણાવતાં રેડક્રોસ સોસાયટીએ માનવતાના આ કાર્યમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya