


પોરબંદર, 15 જુલાઈ (હિ.સ.) અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત પોરબંદર રેલવે સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને જનજાગૃતિ વધારવાના હેતુથી ચિત્રકલા અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમ અંગે વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે સ્પર્ધામાં પોરબંદરની મહારાણી શ્રીમતી રૂપાલીબા વિદ્યાલય, નવયુગ વિદ્યાલય, બાલૂબા કન્યા વિદ્યાલય, કે.બી. જોશી કન્યા વિદ્યાલય અને ભાવસિંહજી સરકારી હાઈસ્કૂલ સહિત પાંચ શાળાના આશરે 800 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ, સર્જનાત્મકતા અને અભિવ્યક્તિ કૌશલ્યનું અસરકારક પ્રદર્શન કર્યું હતું.સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં અમૃત ભારત સ્ટેશન યોજના, સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને ભારતીય રેલવેના આધુનિકીકરણ અંગે જાગૃતિ લાવવાનો હતો. વિદ્યાર્થીઓએ તૈયાર કરેલા ચિત્રો અને નિબંધોમાં સ્વચ્છ ભારત, હરિયાળું પર્યાવરણ અને આધુનિક રેલવે જેવા વિષયો પર નવીન વિચારો રજૂ કર્યા હતા.
સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ તથા વિજેતાઓનું પોરબંદર રેલવે સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે 17 જુલાઈએ વીડિયો કોન્ફરન્સ મારફતે યોજાનારા સમારોહ દરમિયાન પ્રશસ્તિપત્ર અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કરવામાં આવશે.પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ શાળાઓના પ્રાચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક અને જનજાગૃતિના કાર્યક્રમોમાં સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya