
સુરત, 15 જુલાઈ (હિ.સ.): સુરતના સલાબતપુરા વિસ્તારમાં હત્યાના પ્રયાસના કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓ સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલા વર્તનને લઈને વિવાદ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં SOGના DCP રાજદીપસિંહ નકુમ આરોપીઓને જાહેર રસ્તા પર લઈ જઈ તેમના વાળ પકડીને લાકડી વડે માર મારતા હોવાનું જોવા મળે છે. આ ઘટનાએ પોલીસની કાર્યવાહી અને કાયદાકીય મર્યાદાઓ અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
આ ઘટનાને ગંભીર ગણાવતા ગુજરાત હાઇકોર્ટના વકીલ ઉત્કર્ષ દવેએ ચીફ જસ્ટિસને પત્ર લખી હાઇકોર્ટ પોતે સુઓમોટો સંજ્ઞાન લે તેવી માંગ કરી છે. તેમની રજૂઆત મુજબ, જો વીડિયો અને આરોપો સાચા સાબિત થાય તો તે બંધારણની કલમ 14 અને 21 હેઠળ મળતા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન બની શકે છે. પત્રમાં સુપ્રીમ કોર્ટના ડી.કે. બાસુ અને પ્રકાશ સિંહ કેસના ચુકાદાઓનો પણ ઉલ્લેખ કરીને પોલીસ દ્વારા કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવાની ફરજ યાદ અપાવવામાં આવી છે.
અરજીમાં હાઇકોર્ટને રાજ્ય સરકાર પાસેથી વિગતવાર અહેવાલ મંગાવવાની, ઘટનાસ્થળના CCTV સહિત તમામ ઇલેક્ટ્રોનિક પુરાવા સુરક્ષિત રાખવાની અને સમગ્ર ઘટનાની સ્વતંત્ર તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી છે. હવે આ મામલે ગુજરાત હાઇકોર્ટ શું વલણ અપનાવે છે અને પોલીસ અધિકારીઓ સામે કોઈ કાયદાકીય કાર્યવાહી થાય છે કે નહીં, તેના પર સૌની નજર રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે