
જામનગર, 15 જુલાઈ (હિ.સ.) : જામનગર શહેરના બે અલગ-અલગ વિસ્તારોમાંથી બે મહિલાઓ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતાં તેમના પરિવારજનો દ્વારા સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી છે. પોલીસે બંને બનાવોમાં ગુમ થયાની નોંધ નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.
પ્રથમ બનાવમાં રણજીત સાગર રોડ પર આવેલી ગોકુલ દર્શન સોસાયટી, ગેટ નં.3, સાઈબાબા મંદિર પાસે રહેતા પ્રિયંકભાઈ વલ્લભભાઈ વરીયાએ પોલીસને જાણ કરી હતી કે તેમના પરિવારની મહિલા બ્યુટી પાર્લરમાં જવાનું કહી ઘરેથી નીકળી હતી, પરંતુ ત્યારબાદ પરત ફરી ન હતી. પરિવારજનોએ તમામ સંભવિત સ્થળોએ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ કરાવી છે.
બીજા બનાવમાં કાના નગર, આશાપુરા મંદિર પાછળ રહેતા નયનાબેન સુંદરભાઈ નામના 50 વર્ષના ભાનુશાળી પરિવારના મહિલા દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી કે તેમના પરિવારની યુવતી કોઈને કંઈ જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી. સગા-સંબંધીઓ તથા ઓળખીતાઓમાં શોધખોળ કરવા છતાં કોઈ માહિતી ન મળતા સિટી 'એ' ડિવિઝન પોલીસમાં ગુમ થયાની નોંધ નોંધાવવામાં આવી છે.
બંને બનાવોમાં સિટી 'એ' ડિવિઝન પોલીસે ગુમ નોંધ દાખલ કરી મહિલાઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે ગુમ થયેલી મહિલાઓ અંગે કોઈપણ માહિતી મળે તો તાત્કાલિક સિટી 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન અથવા નજીકના પોલીસ મથકનો સંપર્ક કરે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt