


- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી
- ‘દર્પદલન’માં બહેન સુભદ્રાજી, ‘તાલધ્વજ’માં ભાઈ બલભદ્રજી
- ગજરાજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસથી આગળ વધ્યા
અમદાવાદ,16 જુલાઇ (હિ.સ.) જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી અમદાવાદની ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળી છે. ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. સવારે 4 વાગ્યે ભગવાન જગન્નાથની મંગળા આરતી થઈ, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પરિવાર સાથે હાજર રહ્યા હતા. મંગળા આરતી કર્યા બાદ ભગવાનને વિશિષ્ટ ખીચડાનો ભોગ ધરાવાયો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી. સોનાની સાવરણીથી માર્ગની સફાઈ કરી રથયાત્રાનો વિધિવત પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘પહિંદ વિધિ’ કરી. ‘પહિંદ વિધિ’ એટલે રથયાત્રામાં ભગવાન નગરચર્યાએ નીકળે તે પહેલાં સોનાની સાવરણી વડે રથના માર્ગને સાફ કરવાનો અને જળ છાંટવાની પરંપરા. તેમની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિતિ છે.
ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની સાથે ભગવાન જગન્નાથ નીકળ્યા નગરચર્યાએ
અષાઢી બીજના પવિત્ર અવસરે વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળીને લાખો ભક્તોને દર્શન આપે છે.
અમદાવાદમાં ભક્તિમય વાતાવરણ, મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા
ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાના અવસરે અમદાવાદ જાણે ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે. જય જગન્નાથ અને જય રણછોડ માખણ ચોરના નાદથી વાતાવરણ ભક્તિમય બની ગયુ છે. ભગવાનની નગરચર્યામાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
અમદાવાદ પોલીસ કમિશનર અને જેસીપી ક્રાઇમે ટ્રકોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ