
ગાંધીનગર,16 જુલાઇ (હિ.સ.) આજે અષાઢી બીજ નિમિતે જગન્નાથપુરી બાદ દેશની સૌથી મોટી અમદાવાદની ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક અને પૌરાણિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ભ્રમણ તેમજ રથયાત્રાના સંચાલનનું રિયલ ટાઈમ મોનિટરીંગ મુખ્યમંત્રી નિવાસસ્થાનના સી.એમ.ડેશ બોર્ડની વિડિયો વોલ પર જીવંત પ્રસારણ નિહાળીને કર્યું હતું.
મુખ્યમંત્રીએ સવારે જગન્નાથ મંદિરથી રથયાત્રાને પહિંદ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચીને બપોરે વિડિયો વોલ પર આ રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યુ હતું.
તેમણે રથના લોકેશન,પોલીસ દ્વારા એ.આઈ. અને ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી કરવામાં આવી રહેલી રથયાત્રાની નિગરાની અને સલામતી વ્યવસ્થાની તલસ્પર્શી જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુખ્ય સચિવ એમ. કે. દાસ, મુખ્યમંત્રીના અને ગૃહ વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર, પોલીસ મહાનિદેશક જી.એસ. મલિક, તેમજ પોલીસ તથા મહાનગરપાલિકાની ટીમના અધિકારીઓ પણ જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ