રાજ્યના પાટનગર ગાંધીનગરમાં, ભગવાન જગન્નાથજીની 42મી રથયાત્રાનો મંગલ પ્રારંભ
ગાંધીનગર,16 જુલાઇ (હિ.સ.) અષાઢી બીજના પવિત્ર પર્વે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ભગવાન જગન્નાથજીની 42મી રથયાત્રાનો મંગલ પ્રારંભ થયો. ગાંધીનગરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની 42મી પરંપરાગત રથયાત્રાનો શ્રદ્ધાભેર પ્રારંભ થયો છે.
Auspicious start of the 42nd Rath Yatra of Lord Jagannathji in the state capital Gandhinagar


ગાંધીનગર,16 જુલાઇ (હિ.સ.) અષાઢી બીજના પવિત્ર પર્વે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ભગવાન જગન્નાથજીની 42મી રથયાત્રાનો મંગલ પ્રારંભ થયો. ગાંધીનગરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની 42મી પરંપરાગત રથયાત્રાનો શ્રદ્ધાભેર પ્રારંભ થયો છે. સમગ્ર પાટનગરમાં ભક્તિનું મોજું ફરી વળ્યું છે ત્યારે કાયદો, વ્યવસ્થા અને ટ્રાફિકની સ્થિતિ સુદ્રઢ રાખવા માટે પોલીસ પ્રશાસન દ્વારા લોખંડી સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. ભક્તોની ભારે મેદની વચ્ચે નીકળેલી આ રથયાત્રા કોઈપણ વિઘ્ન વિના શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ગાંધીનગરમાં વર્ષ 1985થી શરૂ થયેલી પરંપરા મુજબ સવારે 7 વાગ્યે મંગલા આરતી બાદ પંચદેવ મંદિરથી રથયાત્રા પ્રસ્થાન થઈ હતી. આ વર્ષે ઇતિહાસમાં પ્રથમ વખત સુરક્ષા માટે અત્યાધુનિક ડિજિટલ ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરાયો છે.

સમગ્ર રૂટ અને સંવેદનશીલ વિસ્તારો પર ડ્રોન કેમેરાથી નજર રખાઈ રહી છે, જેનું મોનિટરિંગ સીધું મુખ્ય કંટ્રોલ રૂમથી થાય છે. આ ઉપરાંત ભીડમાં કોઈ ગરબડ ન થાય તે માટે ફેસ રેકોગ્નિશન કેમેરા ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો ડેટાબેઝમાં રહેલા કોઈ શંકાસ્પદ કે અસામાજિક તત્વો ભીડમાં દેખાશે તો આ સિસ્ટમ તુરંત પોલીસને એલર્ટ કરશે.

રૂટની ભૌગોલિક સ્થિતિ અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને દરેક નાકા અને ગલીઓ સુધી સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. સુરક્ષા વ્યવસ્થાની સીધી દેખરેખ માટે 6 ડીવાયએસપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ મેદાનમાં છે. તેમની મદદમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 13 પીઆઈ અને 40 પીએસઆઈ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ સિવાય સામાન્ય જનતાની સુરક્ષા માટે 750 જેટલા પોલીસ જવાનો અને ટ્રાફિક નિયંત્રણ માટે 500 હોમગાર્ડના જવાનોને વિવિધ પોઈન્ટ્સ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

જગન્નાથજીનો રથ શહેરના 19 જેટલા વિવિધ મંદિરોને આવરી લેતા 29 કિલોમીટર લાંબા રૂટ પર પરિભ્રમણ કરશે. રથયાત્રા સેક્ટર-22, 17, 16 થઈને સેક્ટર-12 ના હનુમાન મંદિર અને ઉમિયાધામ પહોંચશે, જ્યાંથી સેક્ટર-6, 7 અને નવા સચિવાલય થઈને બપોરે 12:30 વાગ્યે સેક્ટર-26 ના જલારામ મંદિર એટલે કે ભગવાનના મોસાળે પહોંચશે.

ભગવાનના મોસાળમાં ભક્તો અને ખલાસીઓ માટે ભોજન પ્રસાદની ભવ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, જેમાં 6 હજારથી વધુ લોકો મહાપ્રસાદનો લાભ લેશે.

આ મહાપ્રસાદ તૈયાર કરવા માટે 400 કિલો ચોખા, 300 કિલો મગદાળ અને 600 કિલો બટાકા સહિતની સામગ્રીનો ઉપયોગ કરાયો છે. બપોરે 3:00 વાગ્યે મોસાળથી પુનઃ પ્રસ્થાન કરીને રથયાત્રા સેક્ટર-28, 27, 24 અને 23 થઈને રાત્રે 7:30 વાગ્યે પંચદેવ મંદિરે પરત ફરશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande