

પાટણ, 16 જુલાઈ (હિ.સ.) પાટણના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની પરંપરાગત રથયાત્રા પૂર્વે ધાર્મિક વિધિઓ ભક્તિભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. વહેલી સવારે ભગવાનની વિશેષ પૂજા-અર્ચના, પરંપરાગત પહીંદ વિધિ અને દિવ્ય મંગળા આરતી યોજાઈ હતી. જરીવાળા ઝરકસી વાઘામાં શણગારાયેલા ભગવાનના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં ઉમટી પડ્યા હતા.
પરંપરા મુજબ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની શાસ્ત્રોક્ત પદ્ધતિથી પહીંદ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનને કોળા ગાવર, શાક, ખીચડી અને મિસરીનો અન્નકૂટ ભોગ ધરાવવામાં આવ્યો હતો. શામળિયા પરિવાર દ્વારા દિવ્ય મંગળા આરતી ઉતારવામાં આવી હતી. 'જય રણછોડ, માખણ ચોર'ના ગગનભેદી જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.
રથયાત્રાના મહોત્સવને અનુલક્ષીને રોકડિયા ગેટ યુવક મંડળ દ્વારા 1,700 કિલો ડ્રાયફ્રૂટ્સયુક્ત શુદ્ધ મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. છેલ્લા 17 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાનને મહાપ્રસાદ અર્પણ કર્યા બાદ ભક્તોમાં તેનું વિતરણ કરવામાં આવશે. રથયાત્રા પૂર્વે મંદિર પરિસરમાં શ્રદ્ધા, આસ્થા અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ