
અમદાવાદ,21 જુલાઇ (હિ.સ.) ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ રાજ્યના વિવિધ વિસ્તારો સિદ્ધપુર, બનાસકાંઠા અને ભરૂચ સહિતમાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા 13 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.જે આતંકવાદીઓ અગાઉ હથિયારોની તાલીમ મેળવીને આવ્યા હતા તેમના વિરુદ્ધ પણ એટીએસ દ્વારા વધુ તપાસ તેજ કરવામાં આવી છે.
આતંકવાદીઓની એટીએસની તપાસમાં દરરોજ નવા અને સનસનાટીભર્યા ખુલાસા થઈ રહ્યા છે.તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ આતંકવાદીઓને જો તેઓ સ્થાનિક પોલીસ કે કોઈ તપાસ એજન્સીના હાથે ઝડપાઈ જાય તો કેવી રીતે વાત કરવી, કેવા જવાબો આપવા અને પોતાની જાતને નિર્દોષ સાબિત કરવી તેની ખાસ તાલીમ આપવામાં આવી હતી. આ સ્પેશિયલ ટ્રેનિંગના કારણે હાલ તપાસ એજન્સીઓને પૂછપરછ દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ઝડપાયેલા આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં વાંધાજનક મટિરિયલ મળી આવ્યું છે. આ આતંકીઓએ દેશવિરોધી કાવતરું રચવા માટે 8 વખત બ્લાસ્ટનું સફળ ટેસ્ટિંગ પણ કર્યું હતું. આતંકીઓના મોબાઈલ ફોનની તપાસમાં ઘણી મહત્વની વિગતો સામે આવી છે, પરંતુ તેઓ પરસ્પર વાતચીત અને ચેટિંગ માટે ચોક્કસ ગુપ્ત એપ્લિકેશનનો ઉપયોગ કરતા હોવાથી સંપૂર્ણ ડેટા રિકવર કરવામાં એજન્સીઓને પડકારનો સામનો કરવો પડી રહ્યો છે.
મૌલાના મસૂદ અઝહરની પુસ્તિકાઓ વાંચીને દેશવિરોધી પ્રવૃત્તિઓમાં જોડાયેલા આ આતંકીઓએ બોમ્બ બનાવવાનું સાહિત્ય અને માર્ગદર્શન ક્યાંથી મેળવ્યું હતું તે અંગે એટીએસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ ઉપરાંત, અમદાવાદ અને આસપાસની હોટલોમાં રોકાયેલા આ આતંકવાદીઓના સંબંધો અમદાવાદ, ભરૂચ અને અંકલેશ્વરના કેટલાક શંકાસ્પદ લોકો સાથે હોવાનું બહાર આવ્યું છે, જેથી એટીએસ દ્વારા આ તમામ સ્થાનિક શંકાસ્પદોની પણ આકરા પાણીએ પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ