
નવસારી, 21 જુલાઈ (હિ.સ.) નવસારી જિલ્લાના રેલવે મુસાફરો અને દૈનિક અપ-ડાઉન કરતા હજારો નાગરિકો માટે ખુશખબર સામે આવી છે. વર્ષોથી કરવામાં આવતી માંગણીઓનો અંત લાવતા રેલવે બોર્ડે ટ્રેન નંબર 12933/12934 કર્ણાવતી એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન પર સ્ટોપેજ આપવાની મંજૂરી આપી છે. સાથે જ બોરીવલી–વલસાડ મેમૂ (69139) ટ્રેનને સુરત સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી દૈનિક મુસાફરોને મોટી રાહત મળશે.
આ મહત્વપૂર્ણ નિર્ણય પાછળ નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના સતત પ્રયાસો મહત્વપૂર્ણ રહ્યા હોવાનું જણાવાયું છે. તાજેતરમાં સી.આર. પાટીલ અને ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે નવી દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી નવસારી જિલ્લાના રેલવે સંબંધિત પ્રશ્નો અને માંગણીઓ અંગે વિસ્તૃત રજૂઆત કરી હતી. ત્યારબાદ રેલવે મંત્રાલયે આ માંગણીઓને હકારાત્મક પ્રતિસાદ આપીને મંજૂરી આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી સમયમાં વંદે ભારત એક્સપ્રેસ, સૌરાષ્ટ્ર મેલ સહિત અન્ય મહત્વની ટ્રેનોને પણ નવસારીમાં સ્ટોપેજ મળે તે અંગે સકારાત્મક નિર્ણય લેવાય તેવી સંભાવના છે.
આ નિર્ણયથી નવસારી જિલ્લાના હજારો મુસાફરોને સીધો લાભ મળશે. આ બદલ પ્રતિનિધિમંડળે સમગ્ર જિલ્લા વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલનો આભાર વ્યક્ત કર્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે