

વડોદરા , 21 જુલાઈ (હિ.સ.) વડોદરાના બાજવા ગામમાં ત્રણ મહિના પહેલા જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી હતી. જોકે હજુ સુધી નવી ટાંકીના નિર્માણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. આ મુદ્દે સામાજિક કાર્યકર સબીર ચૌહાણે અનોખી રીતે વિરોધ નોંધાવી સરકારને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કર્યો. નારિયેળ ફોડી અને અગરબત્તી પ્રગટાવી તેમણે નવી પાણીની ટાંકીના કામને તાત્કાલિક મંજૂરી આપવાની માંગ કરી.
વડોદરા જિલ્લાના બાજવા ગામમાં પીવાના પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામની જૂની અને જર્જરિત પાણીની ટાંકી ત્રણ મહિના પહેલા સલામતીના કારણોસર તોડી પાડવામાં આવી હતી. પરંતુ આટલો સમય વીતી ગયો હોવા છતાં નવી પાણીની ટાંકી બનાવવા માટે સરકાર તરફથી હજુ સુધી ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.
આ મુદ્દે સામાજિક કાર્યકર સબીર ચૌહાણ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે ટાંકીના સ્થળે નારિયેળ ફોડી અને અગરબત્તી પ્રગટાવી સરકારને ઊંઘમાંથી જગાડવાનો પ્રતીકાત્મક પ્રયાસ કર્યો હતો.
સબીર ચૌહાણે જણાવ્યું કે નવી પાણીની ટાંકીના અભાવે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી.
સ્થાનિકોની માંગ છે કે સરકાર તાત્કાલિક નવી પાણીની ટાંકી માટે ગ્રાન્ટ મંજૂર કરે અને નિર્માણ કાર્ય શરૂ કરે, જેથી ભવિષ્યમાં પાણીની સમસ્યા વધુ ગંભીર ન બને. હાલ સમગ્ર મુદ્દે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ