
અમદાવાદ,21 જુલાઇ (હિ.સ.) અમદાવાદના વસ્ત્રાલની ફટાકડા ફેક્ટરીમાં 18 જુલાઈએ થયેલા બ્લાસ્ટમાં મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે.વસ્ત્રાલ વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં 10 લોકોના જીવ ગયા બાદ તંત્ર દ્વારા રવિવારે જ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. વસ્ત્રાલ ઉપરાંત વાંચ ગામમાં ચાલતી ફેકટરીઓ પર પણ રવિવારે તપાસ કરવામાં આવી હતી.
અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટમાં 10ના મોત બાદ પોલીસ સફાળી જાગી છે. આજે 21 જુલાઈએ અમદાવાદ ગ્રામ્યમાં ચાંગોદર પોલીસે ફટાકડાના 2 ગેરકાયદેસર ગોડાઉન ઝડપી પાડ્યા છે. જેમાં 39.57 કરોડના ફટાકડા મળી આવ્યા છે. પોલીસે બે વ્યક્તિ સામે ગુનો નોંધીને ધરપકડ કરીને કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ફટાકડાના ગોડાઉન માલિકની શિવરંજનીમાં અંબિકા ફટાકડા નામથી દુકાન છે. આ ઉપરાંત બરોડા અને બાવળામાં પણ અંબિકા ફટાકડા નામથી દુકાન આવેલી છે.બંને ગોડાઉનમાંથી 65,954 કાર્ટુન ફટાકડાના જપ્ત.
ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, મોડાસર ગામથી અમથાપુરા જવાના રસ્તા ઉપર ફટાકડાના ગેરકાયદેસર ગોડાઉન આવેલા છે. પોલીસે અંબિકા ટ્રેડલિંક નામના બે ગોડાઉન પર રેડ કરી હતી. આ બંને ગોડાઉન સામ સામે આવેલા હતા. આ બંને ગોડાઉનમાંથી નાના-મોટા કાર્ટુનમાં વિવિધ પ્રકારના ફટાકડાનો વિશાળ જથ્થો ભરેલો હતો.
ગોડાઉનના દરવાજા પાસે ફાયર સેફટીની બોટલો અને રેતી ભરેલી ડોલ હતી. પરંતુ ગોડાઉનની ક્ષમતાને ધ્યાનમાં રાખી અગ્નિ સુરક્ષાની વ્યવસ્થા પૂરતી જણાઈ ન હતી. આ ઉપરાંત વોટર સ્પ્રીન્ક્લર પણ જોવા મળ્યા નહોતા. ગોડાઉનની બહાર પતરાવાળા શેડ પણ ફટાકડાના કાર્ટુન રાખવામાં આવ્યા હતા અને શેડની આગળ જાડું કપડું બાંધેલું હતું. જેના કારણે આગ આગ અથવ તો વિસ્ફોટ થવાની પૂરેપૂરી સંભાવના હતી.
પોલીસે બંને ગોડાઉનમાંથી 65,954 કાર્ટુન ફટાકડાના જપ્ત કર્યા છે, જેની કિંમત 39,57,90,000 છે. પોલીસે ફટાકડાના જથ્થા સાથે ગોડાઉનના માલિક અમિતકુમાર મોદી, અને મેનેજર કિશન પટેલની ધરપકડ કરી છે.
બંને આરોપીઓ સામે બીએનએસ કલમ 125 અને 288 તથા વિસ્ફોટક અધિનિયમ કલમ હેઠળ ગુનો નોધી ધરપકડ કરવામાં આવી છે. કંપનીની કાયદેસરની રચના,અન્ય જવાબદાર વ્યક્તિઓની ભૂમિકા,લાઇસન્સની અધિકૃત સ્થિતિ, મંજુર ક્ષમતા, મંજૂર નકશો અને લાગુ સલામતીની શરતો અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ