
નવસારી, 22 જુલાઈ (હિ.સ.) બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દેસરા કુંભારવાડા વિસ્તારમાંથી રહેવાસીઓનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા દેસરા પ્રાથમિક શાળામાં તેમની રહેવા અને જરૂરી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
સ્થળાંતરની વિગતો મુજબ 21 જુલાઈ, 2026ના રોજ 24 વ્યક્તિઓને તેમજ 22 જુલાઈના રોજ 18 વ્યક્તિઓ મળી કુલ- 42 વ્યક્તિઓનું દેસરા પ્રાથમિક શાળા ખાતે સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે.
સ્થળાંતર કરાયેલા તમામ વ્યક્તિઓ માટે જમવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત તેમની તબિયતની નિયમિત તપાસ અને જરૂરી સારવાર માટે મેડિકલ ટીમને સતત સ્થળ પર તૈનાત રાખવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર અને બીલીમોરા નગરપાલિકા દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી તમામ રાહત અને સુરક્ષા પગલાં લેવામાં આવી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે