
જામનગર, 22 જુલાઈ (હિ.સ.) જામજોધપુરમાં રૂપિયા 10 હજારની લેતીદેતીના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં ગેરેજ સંચાલક પર પાઇપ, લાકડી અને છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રિયાઝ ઉર્ફે રીઝવાન હુસેનભાઈ બ્લોચને પ્રથમ જામજોધપુર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ફરિયાદ મુજબ, રિયાઝ ઉર્ફે રીઝવાને આશરે છ-સાત મહિના અગાઉ પુષ્પરાજસિંહ પાસેથી રૂપિયા 10 હજાર લીધા હતા, જે બાદમાં પરત ચૂકવી દીધા હોવા છતાં પુષ્પરાજસિંહ વારંવાર ઉઘરાણી કરતો હતો અને છેલ્લા કેટલાક દિવસથી ફોન પર જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ઘટનાના દિવસે રાત્રે ફરિયાદી સ્નૂકર સેન્ટરમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રજવાડી હોટલ નજીક પુષ્પરાજસિંહ અને સત્યજીતસિંહે તેમને રોકી પૈસાની માંગણી કરી હતી. બોલાચાલી દરમિયાન પાર્થરાજસિંહ ઉર્ફે લાલો પણ લાકડી લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારબાદ ત્રણેયે મળીને લોખંડના પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન પુષ્પરાજસિંહે છરી વડે ઘા મારવાનો પ્રયાસ કરતાં બચાવમાં હાથ આડો રાખતા ડાબા હાથની વચલી આંગળીમાં ગંભીર ઇજા પહોંચી હતી. ઉપરાંત માથા, છાતી અને પગના ભાગે પણ ઇજાઓ થઈ હતી.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે. કે હુમલાખોરો મારી નાખો, મારી નાખો કહી બૂમો પાડી રહ્યા હોવાથી પોતાનો જીવ બચાવવા માટે ફરિયાદી નજીકની હોટલના રસોડામાં ઘૂસી દરવાજો બંધ કરી દીધો હતો. ત્યારબાદ ભાઈ તોફીકને બોલાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt