
પાટણ, 22 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા કુલ 14 અરજદારોએ જમીન, રસ્તા, ગટર, સ્વચ્છતા સહિતની વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી. ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી કલેક્ટરે પ્રશ્નોના અસરકારક નિરાકરણ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
અરજદારો દ્વારા જમીન સુધારણા, દબાણ દૂર કરવું, ગેરકાયદેસર બાંધકામો હટાવવું, જમીનનું રિ-સર્વે અને પુનઃમાપણી, નવા માર્ગનું નિર્માણ, એસ.ટી. બસ રૂટ શરૂ કરવો તેમજ વરસાદી પાણીના નિકાલ જેવી માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. દરેક રજૂઆતને ગંભીરતાથી સાંભળીને સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી.
કલેક્ટર ડૉ. પ્રશાંત જીલોવાએ જણાવ્યું કે, લોકોની ફરિયાદોનો સમયબદ્ધ, પારદર્શક અને સંવેદનશીલ નિકાલ કરવો વહીવટી તંત્રની પ્રાથમિક જવાબદારી છે. તાલુકા કક્ષાએ ઉકેલી શકાય તેવા પ્રશ્નો ત્યાં જ ઉકેલવા તેમજ દરેક અરજીનો સમયમર્યાદામાં કાયમી નિકાલ લાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક વસંત નાયી, નિવાસી અધિક કલેક્ટર ડૉ. મેહુલ બરાસરા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ