
મહેસાણા, 22 જુલાઈ (હિ.સ.) મહેસાણા તાલુકાના તળેટી ગામ ખાતે હરેશભાઈ પટેલના પ્રાકૃતિક મોડલ ફાર્મ પર બાયસેગના સહયોગથી પ્રાકૃતિક કૃષિ સર્ટિફિકેશન, ન્યુટ્રિશન મેનેજમેન્ટ અને પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની આધુનિક પદ્ધતિઓ, જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો તેમજ સરકારની વિવિધ સહાય યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
તાલીમ દરમિયાન નિષ્ણાતોએ પ્રાકૃતિક કૃષિના પાંચેય મુખ્ય આયામો, જમીન સુધારણાની પદ્ધતિઓ, પોષણ વ્યવસ્થાપન, ખેતપેદાશોના વેચાણ વ્યવસ્થાપન તેમજ મોડલ ફાર્મ અને BRC યુનિટ માટે ઉપલબ્ધ સરકારી સહાય અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના માર્કેટિંગ કન્સલ્ટન્ટ પૃથ્વીબેન ગોસ્વામીએ GOPCA અંતર્ગત પ્રાકૃતિક કૃષિ સર્ટિફિકેશનની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવી હતી, જેથી ખેડૂતોને પ્રમાણિત પ્રાકૃતિક ઉત્પાદનના બજાર લાભ અંગે પણ માહિતી મળી હતી.
કાર્યક્રમમાં વિસ્તરણ અધિકારી કનૈયાલાલ પરમાર અને હિતેન્દ્રસિંહ મકવાણા, ખેતી મદદનીશ સુહાગકુમાર વાગદોડા, ગ્રામસેવક રીતેશભાઈ ઠાકોર અને રીનાબેન સોલંકી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના દર્શનભાઈ પટેલ અને જાગૃતિબેન પટેલ તેમજ આત્મા સ્ટાફના જ્યોત્સનાબેન ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. પ્રગતિશીલ ખેડૂત હરેશભાઈ પટેલે પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો શેર કરીને ખેડૂતોને આ પદ્ધતિ અપનાવવા પ્રેરિત કર્યા હતા.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને પ્રાકૃતિક કૃષિ અંગે ઉપયોગી માહિતી મેળવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR