
વડોદરા, 22 જુલાઇ (હિ.સ.) : દિલ્હીના જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના પ્રદર્શનનો આજે 33મો દિવસ છે. જંતર-મંતર પર બુધવારે સવારથી હજારો પ્રદર્શનકારીઓ એકઠા થયા છે. તેમાં 20 જુલાઈએ સંસદ માર્ચ દરમિયાન પોલીસના લાઠીચાર્જ, ટીયર ગેસના ગોળાનો ભોગ બનેલા લોકો પણ સામેલ હતા.ગઇકાલે દિલ્હીમાં રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી આવસની બહાર ધરણાને લઈ રાહુલ ગાંધીની પોલીસે અટકાયત કરી હતી. જો કે ત્રણ કલાક બાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા.
આજે વડોદરમાં માંજલપુર વિસ્તારમાં સરસ્વતી સર્કલ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકરો એકઠા થયા હતા અને સરકાર વિરોધી જોરદાર નારેબાજી કરી હતી.
દેશના યુવાનોના ભવિષ્ય અને વર્તમાન પ્રશ્નોના સમર્થનમાં મેદાનમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન દ્વારા શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યાં હતા અને યુવાનોના હિતોના રક્ષણ માટે સરકારને ઘેરીને અનેક સવાલો પૂછ્યા હતા. આ સમગ્ર વિરોધ કાર્યક્રમને કારણે માંજલપુર અને આસપાસના વિસ્તારોમાં રાજકીય વાતાવરણ તંગ બની ગયું હતું. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, માંજલપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી પણ આ પ્રદર્શનમાં જોડાયા હતા અને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.
પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની કડક કાર્યવાહી વચ્ચે પણ કોંગ્રેસના કાર્યકરો સતત ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા રહ્યા હતા. પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે માંજલપુર સરસ્વતી સર્કલ પાસેથી 15થી વધુ અગ્રણી કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ