




પાટણ, 23 જુલાઈ (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામે ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS)ની ટીમે આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલા બિલાલ આબીદ શેરાના નિવાસસ્થાને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્થાનિક પંચોની હાજરીમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન ટીમે મહત્વના દસ્તાવેજો, સાહિત્ય અને તપાસને ઉપયોગી પુરાવા જપ્ત કર્યા હતા. આ કાર્યવાહી બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બિલાલ આબીદ શેરા અમદાવાદના કઠવાડા વિસ્તારમાં આવેલા એક ખાનગી ગેસ્ટ હાઉસમાં આશરે એક વર્ષ સુધી રોકાયો હતો. આ માહિતીના આધારે ATSની ટીમ ચાટાવાડા ગામે પહોંચી હતી અને તેના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
તપાસ દરમિયાન ATSએ બિલાલ શેરાના પરિવારજનોની પૂછપરછ કરી હતી તેમજ ઘરનું પંચનામું તૈયાર કરીને જરૂરી પુરાવા કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા દસ્તાવેજો અને સામગ્રીની તપાસના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ત્યારબાદ ATSની ટીમ છાપીથી પરત આવી ખળી મોહમ્મદ સુણસરાના ઘરની પણ સ્થળ તપાસ કરી હતી. જોકે, આ તપાસ અંગે અધિકૃત રીતે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.
શાંત ગણાતા ચાટાવાડા ગામમાં અચાનક ATSની કાર્યવાહીથી ગ્રામજનોમાં અરેરાટી સાથે ભારે ચકચાર મચી ગઈ હતી. સમગ્ર મામલે તપાસ હજુ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ