




વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અને પાણી ભરાયેલા રસ્તેથી પસાર ન થવા તંત્રની અપીલ
ડહેલી,રાજપરા , અંકલેશ્વર-હાંસોટ , દેસાડ વગેરે માર્ગોમાં નદીઓમાં પૂર આવતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા
પૂરના ધસમસતા પાણીમાં ડાયવર્ઝન અને રસ્તાઓ તૂટયા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયો
ભરૂચ 23 જુલાઈ (હિ.સ.)
હાલમાં પડી રહેલા સાર્વત્રિક ભારે વરસાદના કારણે વિવિધ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને જોડતા અનેક માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. માર્ગ અને મકાન વિભાગ તથા સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષાના કારણોસર વાહનચાલકોની સલામતી માટે તાત્કાલિક ધોરણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
તંત્ર દ્વારા મળતી માહિતી મુજબ, નીચે મુજબના એપ્રોચ રોડ પર પાણી ભરાવાને કારણે તેમજ રસ્તાને નુકસાન થવાની સંભાવનાને પગલે વાહનવ્યવહાર માટે પૂર્ણતઃ બંધ કરવામાં આવ્યા છે.ડહેલી કિમ નદી બ્રીજ વાલિયા - વાડી રાજ્યધોરીમાર્ગ, રાજપરા ખાડી બ્રીજ વાલિયા - વાડી રાજ્યધોરીમાર્ગ ,દેસાડ બ્રીજ વાલિયા - દેસાડ - ભામડીયા - મૌઝા રસ્તો , કુંડવા ખાડી રાજપારડી - અવિધા રસ્તો ,અંકલેશ્વર - હાંસોટ સુરત જતો રસ્તો, પઠાર-ઝાંઝર ફળીયા એપ્રોચ રસ્તો ,પેટીયા-ગુંદીયા એપ્રોચ રસ્તો ,સેવડ-દોલતપુર એપ્રોચ રસ્તો ,ભરાડીયા-પાતાલ એપ્રોચ રસ્તો ,શીનાળા એપ્રોચ રસ્તો આમ કુલ 10 જેટલા રસ્તા નદીઓ ,ખાડી કોતરોમાં આવેલા વરસાદી પૂરના કારણે બંધ થયા છે જેનાથી ઘણા ગામોનો સંપર્ક તૂટ્યો છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત તમામ રસ્તા હાલ બંધ કરવામાં આવ્યા છે અને સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ત્યાંથી વાહનોની અવરજવર પર મનાઈ ફરમાવવામાં આવી છે .પ્રશાસન અને જિલ્લા તંત્ર દ્વારા તમામ નાગરિકોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે જોખમી મુસાફરી ટાળો પાણી ભરાયેલા કે, તંત્ર દ્વારા બંધ જાહેર કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો સાહસ કે પ્રયાસ ન કરવો.વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવો જે રસ્તાઓ બંધ છે તેના સ્થાને તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા વૈકલ્પિક માર્ગોનો જ ઉપયોગ કરવો.સજાગ રહો મુસાફરી શરૂ કરતા પહેલાં સંબંધિત માર્ગની સ્થિતિ અંગે સ્થાનિક કંટ્રોલ રૂમ કે પ્રશાસન તરફથી અપાતી સૂચનાઓની જાણકારી મેળવી લેવી.
વરસાદી પાણી ઓસર્યા બાદ અને રસ્તાનું સમારકામ પૂર્ણ થયા પછી જ આ માર્ગો પુનઃ શરૂ કરવામાં આવશે. કોઈપણ અટપટી પરિસ્થિતિમાં સ્થાનિક ઇમરજન્સી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ