
અમદાવાદ, 24 જુલાઈ (હિ.સ.) : અમદાવાદ જિલ્લામાં સર્જાયેલી ભારે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોની આરોગ્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ અને સતર્ક બન્યું છે.
વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા અને સુરક્ષિત આશ્રય મેળવી રહેલા નાગરિકો માટે રનોડા, પી.એચ.સી. આંબલીયારા ખાતે વિશેષ શેલ્ટર હોમ બનાવવામાં આવ્યું છે.
આ આશ્રય સ્થાનમાં રહેતા લોકોની આરોગ્ય વિષયક સુવિધાઓ જળવાઈ રહે તે હેતુથી એક વિશેષ મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ સરાહનીય કામગીરી દરમિયાન પી.એચ.સી. આંબલીયારાના નિષ્ણાત સ્ટાફ અને આરોગ્ય ટીમ દ્વારા શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા તમામ નાગરિકો, જેમાં ખાસ કરીને નાના બાળકો, મહિલાઓ અને વડીલોનો સમાવેશ થાય છે, તેમનું ઝીણવટપૂર્વક સ્વાસ્થ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આરોગ્ય ચકાસણી બાદ જરૂરિયાતમંદ નાગરિકોને સ્થળ પર જ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ચોમાસા દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન અને સાવચેતીના પગલાં અંગે જાણકારી પણ પૂરી પાડવામાં આવી હતી.
પ્રશાસન દ્વારા 'નાગરિકોનું તંદુરસ્ત સ્વાસ્થ્ય' ને જ પોતાની પ્રથમ પ્રાથમિકતા ગણાવીને આ મુશ્કેલ સમયમાં તમામ પ્રકારની તબીબી સહાય પૂરી પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ આગોતરી અને સરાહનીય કામગીરીથી આશ્રય સ્થાનમાં રહેતા લોકોએ ભારે રાહત અને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ