
મહેસાણા, 24 જુલાઈ (હિ.સ.) : જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણાના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી, વિસનગર દ્વારા 'જનચેતના' વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અંગે લોકોમાં જાગૃતિ વધે અને વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે હેતુથી યોજાયેલા આ કાર્યક્રમનો પ્રારંભ તાલુકા પંચાયત વિસનગરના પ્રમુખ ઇન્દ્રવદન પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો.
વર્કશોપમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ આરોગ્ય જાગૃતિ, રોગપ્રતિકારક પગલાં, સ્વચ્છતા અને સરકારની વિવિધ આરોગ્ય સેવાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સામાન્ય નાગરિકો સુધી આરોગ્ય સંબંધિત માહિતી અસરકારક રીતે પહોંચે અને સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે તે અંગે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ક્ષેત્રે જનભાગીદારી વધારવા તેમજ લોકોમાં આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. ઉપસ્થિત લોકોને આરોગ્ય વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા અને સમયસર આરોગ્ય તપાસ કરાવવા અપીલ પણ કરવામાં આવી હતી.
તાલુકા હેલ્થ કચેરી દ્વારા આયોજિત આ વર્કશોપમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આવા જાગૃતિ કાર્યક્રમો મારફતે લોકોને આરોગ્ય પ્રત્યે વધુ સજાગ બનાવવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR