

- 108, SDRF, પોલીસ અને વહીવટી તંત્રની ટીમો એક્શન મોડમાં: ત્રણેય તાલુકાઓમાં ફસાયેલા લોકોનું સતત રેસ્ક્યૂ ચાલું
અમદાવાદ, 25 જુલાઈ (હિ.સ.) : અમદાવાદ જિલ્લામાં સર્જાયેલી પૂર અને ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને અમદાવાદ જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોળકા, બાવળા અને સાણંદ તાલુકામાં બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને તમામ વિભાગો સતત કાર્યરત છે.
ધોળકાની ધવલ સોસાયટીમાંથી અંદાજે 126 લોકો અને ત્રાસદ ગામમાંથી બોટ મારફતે 95 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. પૂરની સ્થિતિ વચ્ચે 108ની ટીમે સક્રિયતા દર્શાવીને પૂરના પાણીમાંથી એક સગર્ભા મહિલાને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
બાવળા તાલુકાના બલદાણા ગામમાં પૂરની સ્થિતિ વચ્ચે SDRF ની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બોટ મારફતે પૂરના પાણીમાં ફસાયેલા અંદાજે 121 જેટલા લોકોને સલામત રીતે બહાર કાઢી સુરક્ષિત આશ્રયસ્થાને પહોંચાડવામાં આવ્યા છે.
વરસાદી પૂરના કારણે એકમે ફ્યુઅલ સિસ્ટમ કંપનીમાં ફસાયેલા 35 કારીગરો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્વરે કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્રની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તમામ 35 વર્કર્સને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે અને તેઓ માટે રહેવા તેમજ જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
વધુમાં, સાણંદ ચોકડીથી રેલ્વે ફાટક સુધી ભરાયેલા વરસાદી પાણીના ઝડપી નિકાલ અને કચરો દૂર કરવા માટે જેસીબી મશીનરીની મદદ લેવામાં આવી રહી છે. રસ્તાઓ સાફ કરીને વાહનવ્યવહાર ઝડપથી પૂર્વવત થાય તે માટે તંત્ર દ્વારા અવિરત કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર ચોવીસે કલાક સતત નજર રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ