
સુરત, 25 જુલાઈ (હિ.સ.)-સુરત જિલ્લામાં વરસાદનું જોર ઘટતા જ જનઆરોગ્યની દરકાર માટે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન કામગીરી હાથ ધરાઈ હતી. માંગરોળની વિવિધ ગ્રામ પંચાયતો ખાતે વિવિધ વિસ્તારોમાં સંભવિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને રોકવા અસરગ્રસ્ત ગામોમાં આરોગ્ય ટીમ દ્વારા સતત સર્વેલન્સની સાથે નિવારક પગલાં લેવાય રહ્યા છે.
માંગરોળ તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં પાણી ભરાયેલા સ્થળોએ ક્લોરીનેશન, જંતુનાશક દવાનો છંટકાવ તથા મચ્છરોના ઉપદ્રવને નિયંત્રિત કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે જ આરોગ્ય કર્મચારીઓએ ગામોમાં ઘર-ઘર મુલાકાત લઈ નાગરિકોના આરોગ્યની તપાસ કરી, જરૂરીયાત મુજબ દવાઓ અને ઓ.આર.એસ.ના પેકેટનું વિતરણ કર્યું હતું. સાથે જ પીવાના પાણીની શુદ્ધતા જળવાઈ રહે તે માટે ક્લોરીનની ટેબલેટ પણ ઉપલબ્ધ કરાવી હતી.
જિલ્લા વહીવટી તંત્ર સાથે આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત તાલુકાઓમાં વરસાદ બાદ ઊભી થતી આરોગ્ય સંબંધિત પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. અને જરૂરિયાત મુજબ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં નિવારક અને સારવારલક્ષી કામગીરી કાર્યરત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે