



વડોદરા , 25 જુલાઈ (હિ.સ.)
પવિત્ર ગૌરી વ્રતની શરૂઆત હવે નજીક આવી રહી છે. પરંપરાગત રીતે ઘરે જવારા વાવીને પૂજન કરવાની પ્રથામાં હવે સમય સાથે બદલાવ જોવા મળી રહ્યો છે. વ્યસ્ત જીવનશૈલીના કારણે લોકો હવે તૈયાર જવારા અને ગોરો ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
આવતી 27મી તારીખથી પવિત્ર ગૌરી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. ગૌરી વ્રત દરમિયાન જવારા વાવી તેનું પૂજન કરવાની સનાતન પરંપરા વર્ષોથી ચાલી આવી છે. પરંતુ બદલાતા સમય અને વ્યસ્ત જીવનશૈલીને કારણે હવે લોકો ઘરે જવારા ઉગાડવાને બદલે બજારમાંથી તૈયાર જવારા અને ગોરો ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે.
વેપારીઓના જણાવ્યા મુજબ છેલ્લા બે-ત્રણ વર્ષથી તૈયાર ગોરો અને જવારાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. ગોરામાં પરંપરા મુજબ પાંચ પ્રકારના ધાન્ય – જેમ કે ઘઉં, તલ, વાલ, જુવાર સહિતના બીજનો ઉપયોગ કરીને જવારા તૈયાર કરવામાં આવે છે, જે પૂજન માટે શુભ માનવામાં આવે છે.
ગૌરી વ્રત દરમિયાન કુંવારિકાઓ ભગવાન શિવ અને માતા ગૌરીની આરાધના કરીને સારા જીવનસાથીની પ્રાપ્તિ તેમજ સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. આ વ્રતને હિંદુ સંસ્કૃતિમાં વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ આપવામાં આવ્યું છે.
વ્રતને લઈને શહેરના બજારોમાં પણ ખરીદીનો માહોલ જામ્યો છે. પૂજન સામગ્રી, તૈયાર જવારા અને ગોરો લેવા માટે લોકો મોટી સંખ્યામાં બજારોમાં પહોંચી રહ્યા છે, જેના કારણે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ