કારગિલ વિજય દિવસે વીરોને વંદન: પૂર્વ સૈનિકો અને શહીદ પરિવારોના કલ્યાણ માટે ગુજરાત સરકારનું 'સુરક્ષા કવચ'
ગાંધીનગર, 25 જુલાઈ (હિ.સ.) : ૨૬મી જુલાઈ એટલે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય, સાહસ અને બલિદાનનું પ્રતીક ''કારગિલ વિજય દિવસ''. સન ૧૯૯૯માં કારગિલના દુર્ગમ પહાડો પર પાકિસ્તાની ઘૂસણખોરોને ધૂળ ચટાડીને તિરંગો લહેરાવનારા વીર જવાનોની શહાદતને આજે આખો દેશ નમન
કારગિલ વિજય દિવસે વીરોને વંદન: પૂર્વ સૈનિકો અને શહીદ પરિવારોના કલ્યાણ માટે ગુજરાત સરકારનું 'સુરક્ષા કવચ'


ગાંધીનગર, 25 જુલાઈ (હિ.સ.) : ૨૬મી જુલાઈ એટલે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય, સાહસ અને બલિદાનનું પ્રતીક 'કારગિલ વિજય દિવસ'. સન ૧૯૯૯માં કારગિલના દુર્ગમ પહાડો પર પાકિસ્તાની ઘૂસણખોરોને ધૂળ ચટાડીને તિરંગો લહેરાવનારા વીર જવાનોની શહાદતને આજે આખો દેશ નમન કરી રહ્યો છે. આ ગૌરવશાળી દિવસે ગુજરાત સરકાર માત્ર શહીદોને શ્રદ્ધાંજલિ જ અર્પણ નથી કરતી, પરંતુ દેશ માટે લોહી રેડનારા વીરોના પરિવારો અને નિવૃત્ત થઈને આવેલા પૂર્વ સૈનિકોના સન્માનપૂર્વક જીવન નિર્વાહ માટે કટિબદ્ધતા પણ દર્શાવે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે શહીદ પરિવારો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને સહાયની રકમમાં અભૂતપૂર્વ વધારો કર્યો છે. તેમજ ફરજ દરમિયાન શહીદ થનારા ગુજરાતના વીર જવાનોના પરિવારોને આપવામાં આવતી સન્માન રાશિમાં મોટો વધારો કર્યો છે. તથા શહીદ જવાનોની વિધવા બહેનો તેમજ તેમના આશ્રિત માતા-પિતાને સન્માનપૂર્વક જીવવા માટે વિશેષ માસિક આર્થિક સહાય અને વાર્ષિક અનુદાન સીધું જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. તેમજ દેશની સેવા કરીને નિવૃત્ત થયેલા પૂર્વ સૈનિકોના અનુભવ અને શિસ્તનો લાભ રાજ્યના વિકાસમાં મળે તે માટે સરકારે મજબૂત નીતિઓ બનાવી છે. જેમાં ગુજરાત સરકારની વર્ગ-૧ થી લઈને વર્ગ-૪ સુધીની સીધી ભરતીની સરકારી નોકરીઓમાં પૂર્વ સૈનિકો માટે ચોક્કસ ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે, જેથી નિવૃત્તિ પછી પણ તેઓ સન્માનજનક આજીવિકા મેળવી શકે.

કૃષિ અને ઘરના બાંધકામ માટે પૂર્વ સૈનિકોને પ્રાથમિકતાના ધોરણે સરકારી જમીન સાનુકૂળ શરતો પર ફાળવવામાં આવે છે. તથા સૈન્યમાંથી નિવૃત્ત થયેલા જવાનોના રહેણાંકના મકાનો પર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વસૂલવામાં આવતા પ્રોપર્ટી ટેક્સમાં મોટી રાહત આપવામાં આવે છે. તેમજ પૂર્વ સૈનિકોના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સૈનિક કલ્યાણ બોર્ડ દ્વારા અદભૂત કામગીરી થઈ રહી છે. ઉચ્ચ શિક્ષણ તેમજ ટેકનિકલ કોર્સિસ માટે સૈનિકોના સંતાનોને ખાસ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ ઉપરાંત, પૂર્વ સૈનિકો અને શહીદોની દીકરીઓના લગ્ન પ્રસંગે કન્યાદાન તરીકે આર્થિક સહાય પૂરી પાડીને રાજ્ય સરકાર એક વાલી તરીકેની ફરજ નિભાવે છે.

કારગિલ વિજય દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે જે શાંતિના શ્વાસ લઈ રહ્યા છીએ, તેની કિંમત કોઈકે સરહદ પર ચૂકવી છે. ગુજરાત સરકારની સૈનિક કલ્યાણ યોજનાઓ એ સાબિત કરે છે કે રાજ્ય માત્ર વાતોમાં જ નહીં, પરંતુ વાસ્તવિકતામાં દેશના રક્ષકો અને તેમના પરિવારોની સાથે અડીખમ ઊભું છે. વીરોનું આવું સન્માન જ દેશભક્તિની સાચી ઓળખ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande