



પોરબંદર, 25 જુલાઈ (હિ.સ.)રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને આજે પોરબંદરના અટલ ભવન ખાતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકદરબારમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા નાગરિકોએ પોતાની વ્યક્તિગત તેમજ જનહિતના પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી.
લોકદરબારમાં રોડ-રસ્તા, જમીન સંબંધિત પ્રશ્નો, જાહેર સુવિધાઓ, સ્વચ્છતા, ભૂગર્ભ ગટર, જન્મ - મરણના દાખલા, સિંચાઈ માટે પાણી તથા વિવિધ વિભાગોને લગતી અરજીઓ રજૂ કરવામાં આવી હતી. મંત્રી અર્જુન મોઢવાડીયાએ અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી પ્રશ્નોનું ત્વરિત, પારદર્શક અને અસરકારક નિરાકરણ લાવવા હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.
તેમણે અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ થાય અને અરજદારોને યોગ્ય ન્યાય મળે તે માટે અધિકારીઓને સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક કામગીરી કરવા ભાર મૂક્યો હતો તેમજ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનબેન તિવારી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા, જિલ્લા મહામંત્રી રાજેશભાઈ કરગટિયા, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ લકીરાજસિંહ વાળા, જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya