
સુરત, 25 જુલાઈ (હિ.સ.)-ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને અનુસંધાને સુરતના ખાડીપૂરથી પ્રભાવિત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવા માટે શિક્ષણ વિભાગ (પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ)ના અગ્ર સચિવશ્રી મિલિંદ તોરવણે, સુરત જિલ્લા પ્રભારી સચિવશ્રી શાલિની અગ્રવાલ તથા મ્યુ.કમિશનરશ્રી એમ. નાગરાજને ઉધના, લિંબાયત ઝોન વિસ્તારના વિવિધ અસરગ્રસ્ત સોસાયટીઓ અને વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે કાંગારુ સર્કલ, ઋષિ વિહાર સોસાયટી, માધવબાગ સોસાયટી, સત્યમ શિવમ સોસાયટી, શ્રીવર્ધન સોસાયટી, મીઠી ખાડી નજીક આવેલી બેઠી કોલોની, રાવનગર, કમરૂનગર, મઝદા પાર્ક, જૂનું કમરૂનગર અને રતનજીનગર જેવા વિસ્તારોમાં જઈને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. સ્થાનિક રહીશોની સમસ્યાઓ અને રજૂઆતો સાંભળીને વરસાદી પાણીના ઝડપી નિકાલ, રાહત કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા તેમજ સ્થાનિક પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર જ જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.
ત્યારબાદ અગ્ર સચિવ મિલિંદ તોરવણે અને મ્યુ.કમિશનરશ્રી એમ. નાગરાજને સુરત-નવસારી રોડ પર પ્રમુખ પાર્ક જંકશન નજીક આવેલી ભેદવાડ ખાડીની સ્થળ મુલાકાત લઈ જળસ્તરની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, ઉધના ઝોન ખાતે કાર્યરત 24×7 કંટ્રોલ રૂમની મુલાકાત લઈ ત્યાં હાથ ધરવામાં આવતી કામગીરી, નાગરિકોની ફરિયાદ નોંધણી પ્રક્રિયા અને સંબંધિત રજિસ્ટરની વિગતવાર ચકાસણી કરી હતી.
અધિકારીઓએ સુરત મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ ખાડીના જળસ્તર, ઝોનવાર વરસાદની વિગતો અને અન્ય લાઇવ માહિતી પ્રણાલીની પણ સમીક્ષા કરી હતી. શહેરના નાગરિકોને ખાડીના સ્તર અને વરસાદ અંગેની અધિકૃત માહિતી મેળવવા માટે મહાનગરપાલિકાની પોર્ટલ સેવાઓનો વધુમાં વધુ ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે