
વડોદરા, 26 જુલાઈ (હિ.સ.) : વડોદરા જિલ્લાના નંદેસરી પોલીસને પ્રાણઘાતક હુમલાના ચકચારી કેસમાં વધુ એક મહત્વની સફળતા મળી છે. પોલીસે ફરાર આરોપી રાજેશ ઉર્ફે આઠડો ભયલાલ પરમારને આણંદ જિલ્લાના વઘાસી ગામેથી ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ, કેસના અન્ય મુખ્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
વડોદરા જિલ્લાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રાણઘાતક હુમલાના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસ મુજબ, 17 મે 2026ના રોજ શિવાજીનગર વિસ્તારમાં રાજવીરસિંહ છત્રસિંહ સિંધા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં સંડોવાયેલા રાજેશ ઉર્ફે આઠડો ભયલાલ પરમારને પોલીસે આણંદ જિલ્લાના વઘાસી ગામેથી ઝડપી પાડ્યો હતો.
આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી હુમલાની સમગ્ર ઘટનાક્રમ અને અન્ય સંડોવાયેલા આરોપીઓ અંગે વધુ પૂછપરછ કરી શકાય.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલો આરોપી અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગંભીર હુમલા, મારામારી સહિતના વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. એક કેસમાં જામીન પર મુક્ત થયા બાદ પણ આરોપી ફરી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે તેની સામે જામીન રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે.
હાલ આ કેસના અન્ય મુખ્ય આરોપીઓ રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો મંગળસિંહ ગોહિલ અને હર્ષવર્ધન સુરેશ ગોહેલ સહિતના આરોપીઓ હજુ ફરાર છે. તેમને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સઘન શોધખોળ શરૂ કરી છે.
પોલીસનું કહેવું છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કાયદાના કઠોર ચુંગાલ સુધી પહોંચાડવામાં આવશે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ