
જામનગર, 26 જુલાઈ (હિ.સ.) : જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ બેઠકમાં કલેક્ટરે અરજદારોના પ્રશ્નો અને રજૂઆતોને અત્યંત ગંભીરતાથી સાંભળ્યા હતા અને નિયમોનુસાર ત્વરિત કાર્યવાહી હાથ ધરીને તમામ પ્રશ્નોનો નિર્ધારિત સમયમર્યાદામાં ઉકેલ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં નાગરિકો તરફથી રજૂ કરવામાં આવેલા કુલ ૩૩ પ્રશ્નોમાંથી ૩૦ જેટલા પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો હતો, જે સ્વાગત કાર્યક્રમની લોકઅભિમુખ કામગીરી દર્શાવે છે. આ બેઠકમાં જમીન સંપાદન અન્વયે વળતરની રકમ મેળવવા, ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા, પીવાના પાણીની સમસ્યા દૂર કરવા, સેવા સહકારી મંડળી દ્વારા ‘નો ડ્યુ’ સર્ટિફિકેટ ન આપવા બાબત, ઉદ્યોગોમાંથી આવતી દુર્ગંધના નિકાલ, રોડ એવોર્ડની રકમ મેળવવા તેમજ કેનાલના કારણે ભરાતા વરસાદી પાણીના નિકાલ કે નવી પાઇપલાઇન નાખવા જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત, વિવિધ રસ્તાઓનું સમારકામ, એટ્રોસિટી એકટ હેઠળ સહાયની રકમ, હોમગાર્ડ અંગેના પ્રશ્નો, લિવિંગ સર્ટિફિકેટમાં પિતાના નામમાં સુધારો કરવા, જન્મ-મરણના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓ, જામનગરથી કાલાવડ વચ્ચે મેટ્રિલિંક બસ અને હાઇવે સ્ટોપ સાથે રેગ્યુલર બસ સુવિધા શરૂ કરવા, ફોરેસ્ટ વિભાગના ગેરકાયદે વૃક્ષો કાપવા અને વહન, વીજળીના પ્રશ્નો, ઓરિયો ધોરિયા અંગેનો હુકમ રદ કરવા, પ્રોપર્ટી કાર્ડ મેળવવા, ગેરકાયદેસર ગૌશાળા દૂર કરવા તથા ખનિજ ચોરી અટકાવવા સહિતના પ્રશ્નોની વિસ્તૃત સમીક્ષા કરી જરૂરી દિશા-નિર્દેશો આપવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt