
મહેસાણા, 26 જુલાઈ (હિ.સ.) : સતત વરસાદ બાદ વાતાવરણમાં સુધારો થતાં મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. વરસાદી પાણી સાથે આવેલા પ્લાસ્ટિક, કચરો અને ગંદકીનો તાત્કાલિક નિકાલ કરવા માટે મહાનગરપાલિકાની ટીમો મેદાનમાં ઉતરી કામગીરી કરી રહી છે.
શહેરના મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં જમા થયેલો કચરો અને ગંદકી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ વરસાદી પાણીના નિકાલમાં અવરોધરૂપ બનતા પ્લાસ્ટિક અને અન્ય કચરાને દૂર કરીને ડ્રેનેજ વ્યવસ્થા પણ સુચારૂ બનાવવામાં આવી રહી છે.
મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ વરસાદ બાદ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે, રસ્તાઓ પર અવરજવર સરળ બને અને જનજીવન ઝડપથી પૂર્વવત થઈ શકે તે માટે સફાઈ કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે. નાગરિકોને પણ શહેરને સ્વચ્છ રાખવા સહયોગ આપવા અને કચરો જાહેર સ્થળોએ ન ફેંકવાની અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR