


પોરબંદર, 26 જુલાઈ (હિ.સ.) : મહિલા અને બાળ વિકાસ વિભાગ, પોરબંદર દ્વારા રાજ્ય સરકારની વિધવા સહાય યોજના અંતર્ગત લાભાર્થીઓની હયાતીની ખરાઈ કામગીરી સંવેદનશીલ અભિગમ સાથે હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી અંતર્ગત જિલ્લા હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વુમન (DHEW)ના ડૉ. સંધ્યાબેન જોશી દ્વારા મહેનત-મજૂરી કરીને જીવનનિર્વાહ કરતી મહિલાઓના રહેણાંક વિસ્તારમાં જઈ તેમની ખરાઈની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. દિવસ દરમિયાન મજૂરી પર જતી બહેનો ઘરે પરત ફરે ત્યારબાદ તેમને મળી હયાતીની ખરાઈની કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, જરૂરિયાતમંદ મહિલાઓ માટે રોજની મજૂરી છોડીને સરકારી કચેરી સુધી પહોંચવું મુશ્કેલ બનતું હોય છે. આ હકીકતને ધ્યાનમાં રાખી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લાભાર્થીઓ સુધી સેવા પહોંચે તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે અને વિધવા સહાય યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya